મોદીના ગુજરાતમાં પીરસાશે UPA કૌભાંડોની વાનગીઓ
વડોદરા, 26 જુલાઇ : કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના કૌભાંડોને લોકો સમક્ષ લાવવા માટે ભાજપે કમર કસી છે. જો કે ભાજપની આ કાર્યવાહીથી અલગ નરેન્દ્ર મોદીના નિર્ભય ગુજરાતની હોટલોએ આ કૌભાંડોને અલગ રીતે લોકો સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.
મુંબઇના એક રેસ્ટોરન્ટમાં ભોજનના બિલમાં યુપીએ સરકારના કૌભાંડને લઇને મચેલી બબાલનો અંત હજી આવ્યો નથી ત્યારે ગુજરાતની રેસ્ટોરન્ટે કૌભાંડોમાં પણ નફો શોધીને કૌભાંડોના નામ વિવિધ વાનગીઓને આપી તેને ગ્રાહકોને પીરસવાનો આઇડિયા અજમાવ્યો છે. તમે જ્યારે આ રેસ્ટોરન્ટમાં જમવા જશો ત્યારે મેનુમાં '2જી સમોસા','કોલગેટ સેન્ડવિચ' જેવા નામો જોવા મળશે.

ગુજરાત રાજ્ય હોટલ ફાઉન્ડેશન (જીઆરએચએફ) મુંબઇની અદિતિ રેસ્ટોરન્ટને પડખે આવ્યું છે. આ સાથે તેણે યુપીએ સરકારના કૌભાંડોના નામથી ડિશ તૈયાર કરીને પોતાની હોટેલ્સમાં પીરસવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં જીઆરએચએફના અંદાજે 6,000 સભ્યો છે. ફેડરેશનના સંભ્યો અને હોટેલ માલિક અશ્વિન ગાંધીએ કૌભાંડોની ડિશ પીરસવાનો પ્રસ્તાવ ફેડરેશનના અન્ય સભ્યો સાથે કર્યો છે. આ અંગે તેઓ જણાવે છે કે ખાવા પીવાની વસ્તુઓના નામ યુપીએ સરકારના કૌભાંડોના નામ પર રાખવા એ જ ભ્રષ્ટાચારી સરકારને સાચો જવાબ છે. ભારતના દરેક નાગરિકને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે.
દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ પણ જીઆરએચએફને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દરખાસ્તને મંજૂરી મળી જતા અમે બોફોર્સ, 2જી અને અન્ય કૌભાંડોના નામ અમારા મેનુમાં સામેલ કરીશું.












Click it and Unblock the Notifications
