શાળાઓના ફી વધારા સામે NSUIનો વિરોધ, વધારો પાછો ખેંચવા માંગ!
ગુજરાતમાં લાંબા સમયથી શાળાઓની સતત વધતી ફીને લઈને બબાલ ચાલી રહી છે. રૂપાણી સરકાર વખતે સરકારે દેખાડા કરી ફી કાબૂમાં લેવાની મોટી મોટી વાતો કરી હતી પરંતુ હજુ સુધી વાલીઓની ફરિયાદનો અંત આવ્યો નથી.
અમદાવાદ : ગુજરાતમાં લાંબા સમયથી શાળાઓની સતત વધતી ફીને લઈને બબાલ ચાલી રહી છે. રૂપાણી સરકાર વખતે સરકારે દેખાડા કરી ફી કાબૂમાં લેવાની મોટી મોટી વાતો કરી હતી પરંતુ હજુ સુધી વાલીઓની ફરિયાદનો અંત આવ્યો નથી. ત્યારે હવે કોરોનાના કપરા કાળમાં પણ શિક્ષણ માફિયાઓ ફી વધારો કરવાનો એક પણ મોકો ચુકતા નથી. આવા ફી વધારાએ વાલીઓની ચિંતા વધારી છે. ગુજરાત સરકારની એફઆરસીએ 10 ટકા ફી વધારાની મંજુરી આપતા હવે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત સહિત દેશ કોરોનાની ત્રીજ લહેરમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ આ પરિસ્થિતિથી ઘણું પ્રભાવિત થયું છે. કોરોનાકાળને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા ૨૫ ટકાની ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી અને સંપૂર્ણ ફી ઉધરાવવામાં આવી છે. આવા સમયે FRC દ્વારા વધુ ૧૦% ફી વધારાની મંજુરીની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ ઓનલાઇન આપવામાં આવી રહ્યું છે ત્યારે આવો ફી વધારો સંપૂર્ણ અયોગ્ય છે અને સ્કૂલ સંચાલકો FRCના નિયમોને નેવે મૂકી મન ફાવે તેમ ફી પા વસુલે છે ત્યારે ગુજરાત NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના આગેવાનોએ આને લઈને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી. એનએસઆઈએ માંગ કરી છે કે, FRCનું તાનાશાહી વલણ નહી ચલાવી લેવાય અને ગુજરાત સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અને પૂરી આક્રમકતાથી લડાઈ લડાશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકાર દ્વારા એફઆરસી દ્વારા રાજ્યમાં ફીને કાબૂ કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે હવે એફઆરસીએ જ ફી વધારાની મંજુરી આપતા વાલીઓનો ગુસ્સો ફુટ્યો છે. આ પહેલા પણ શાળાઓ સતત ફી વધારો કરતી આવી છે. બીજી તરફ સરકારનું વલણ પણ વાલીઓની મુશ્કેલી વધારે છે.