અમદાવાદમાં આરક્ષણ મુદ્દે મહારેલી, પોલીસ બંદોબસ્ત સઘન
અમદાવાદ: આજે આરક્ષણ મુદ્દે સરકારની અગ્નિ પરીક્ષા છે. અમદાવાદમાં આરક્ષણ મુદ્દે પટેલ સમુદાયે મહારેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં લગભગ 25 લાખથી વધુ લોકો ભાગ લઈ રહ્યાં છે. રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો છે. રેલીની સુરક્ષા માટે રેલી સ્થળથી લઈને કલેક્ટર હાઉસ સુધી પોલીસના 20,000 જવાનો બંદોબસ્ત માટે સજ્જ છે.
રેલીને લઈને GMDC ગ્રાઉન્ડ પર દરેક પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. પાટીદારો રેલીમાં ભાગ લેવા માટે ઓશિકા અને ધાબળાં લઈને રાત્રિ દરમ્યાન જ પહોંચી ગયા હતા. રેલીમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી લોકોના ઘોડાપૂર ઉમટ્યાં છે. તો અમદાવાદના અનેક રસ્તાઓને આજે નો ટ્રાફિક જોન ડીક્લેર કરવામાં આવ્યા છે.
મહારેલી આંદોલનના મુખ્ય નેતા હાર્દિક પટેલે આનંદીબેન સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગને નહિં સ્વીકારવામાં આવે તો આંદોલન હિંસાના માર્ગે આગળ વધશે. પોલીસે લોકોને અનુરોધ કર્યો છે કે જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળશો.
આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલની આગેવાની હેઠળ પાટીદાર સમુદાય આરક્ષણની માંગ કરી રહ્યો છે. જેને રદિયો આપતા આનંદીબેન પટેલે કહ્યું છે પટેલોને અનામત સરદાર પટેલનું અપમાન છે. ભારતનું સંવિધાન આ વાતને અનુમોદન નથી આપતું. ત્યારબાદ હાર્દિક પટેલે મહાક્રાંતિનું એલાન કર્યું છે.
અમે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ગુજરાત બે આંદોલનની આગથી દાઝી ચૂક્યું છે. ગુજરાતના તત્કાલિન બે મુખ્યપ્રધાને જે તે સમયે રાજીનામા આપવા પડ્યાં હતા.