ઓક્ટોબર 15, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
અમદાવાદઃ યુનિવર્સિટી છેડતી બાબતે વિદ્યાર્થિનીઓની કુલપતિને ફરિયાદ
ગુજરાત યુનિવર્સિટીના ફિઝીક્સ ભવન અને કેએસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ભવનની વિદ્યાર્થિનીઓ દ્વારા કુલપતિ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે અસામાજીક તત્વો દ્વારા તેમની છેડતી કરવામાં આવી રહી છે અને બિભત્સ કોમેન્ટ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ ઝૂપડાં હટાવવા ગયેલી ટૂકડી પર પથ્થરમારો
અમદાવાદના વિરાટનગર ખાતે ઝૂપડાં હટાવવા ગયેલી એએમસીની એસ્ટેટ ટીમ પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસીજીપ અને 2 જીસીબીના કાંચ તૂટ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
રાજકોટઃ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગથી નાસભાગ
રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સવારે બીજા માળે આગ લાગતા સારવાર લઇ રહેલા 72 જેટલા બાળ દર્દીઓના સ્વજનોમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે થોડીક જ વારમાં હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
રાજકોટઃ વિધાનસભા પેટાચૂંટણીમાં 5 વાગ્યા સુધી 44 ટકા મતદાન
રાજકોટ વિધાનસભાની પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 5 વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન થયું છે. આ મત વિસ્તારમાં 250 કરતા વધુ મતદાન મથકો પર 1200થી વધુ કર્મચારીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. નોંધનીય છેકે રાજકોટની આ બેઠક ભાજપ માટે નાકનો સવાલ છે. આ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યાં છે અને આ બેઠક જીતવી આનંદીબેન પટેલ માટે મોટા પડકાર સમાન છે.

ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ‘ફિક્કી'ની મહિલા પાંખના અમદાવાદ ચેપ્ટરની 150 જેટલી બહેનો સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નવતર આયામો અન્ય રાજ્યો માટે પણ પથદર્શક બની રહેશે.
ભરૂચઃ બેન્કમાં નકલી નોટ પધરાવવા જતા એક પકડાયો
ભરૂચ સ્થિત આઇસીઆઇસીઆઇ બેન્કમાં નકલી નોટ જમાં કરવા આવેલા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બેન્કમાં 3 લાખ કરતા વધુની રકમ જમાં કરવા માટે આવ્યો હતો. જેમાંથી 50 અને 500 રૂપિયાની નોટો નકલી હોવાનું બેન્ક અધિકારીને માલુમ પડતા તેણે તેની જાણ મેનેજરને કરી હતી. મેનેજરે આ અંગે પોલીસને માહિતગાર કરતા પોલીસે એ શખ્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાઃ પાકિસ્તાનના વડાપ્રધાનના પૂતળાને ફાંસી અપાઇ
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે સ્થાનિકો દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી અને તેનું દહન કરવામાં આવ્યું હતું. એ સમયે અચાનક જ લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજક માહોલ છવાઇ ગયો હતો. સ્થાનિક લોકોએ આ સાથે જ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ધ્વજ પણ બાળ્યો હતો. અચનાક આ પ્રકારની કાર્યવાહી શહેરમાં કરવામા આવતા એક સમયે પોલીસ દોડતી થઇ ગઇ હતી.
જૂનાગઢઃ લૂંટ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો
તાજેતરમાં જૂનાગઢના આંબલીયા ગામે 7 કરોડની લૂંટ તથા બે વ્યક્તિના અપહરણ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં એક ચોંકવનારો ખુલાસો થયો છે. જમીન સોદા માટે દલાલો દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું હતું, જે પૂર્વયોજિત હતું. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક ઓરોપીએ જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતે પણ આરોપી હોવાનું બહાર આવ્યું હતું. જમીનનો સોદો ફોગ ન જાય અને દલાલી પૂરી મળે એ માટે આ ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
