ગુજરાતની પ્રથમ પહેલઃ કોલસાના આંતરિક હેરાફેરી કરારથી 400 કરોડનો ફાયદો
ગાંધીનગર, 12 નવેમ્બરઃ ઊર્જામંત્રી સૌરભ પટેલે કેન્દ્ર સરકારે કોલસાની આંતરિક ફેરબદલી કરારનું માત્ર ર૧ જ દિવસમાં અમલીકરણ કરાવતાં ગુજરાતને સમગ્રતયા ૪૦૦ કરોડનો અંદાજિત લાભ-બચત થશે તેની વિધાનગૃહમાં આજે જાહેરાત કરી હતી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વીજ ઉત્પાદન કંપનીઓ વચ્ચે કોલસાની લેવડ-દેવડના કરાર અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આ અંગેની વિગતો તેમણે આપી હતી.
એન.ટી.પી.સી. દ્વારા આયાત કરવામાં આવતો કોલસો ગુજરાતના મુંદ્રા બંદરે ઉતરે છે અને છત્તીસગઢના પાવર સ્ટેશને લઇ જવામાં આવતો હતો. જ્યારે ગુજરાતને ૧૩૦૦ કિ.મી. દૂરના કોરીયા રેવા કોલ ફિલ્ડથી કોલસો પુરો પાડવામાં આવતો હતો. જો એન.ટી.પી.સી. દ્વારા આયાત કરાતો કોલસો ગુજરાતને અપાય અને ગુજરાતને ફાળવવામાં આવતો કોલસો એન.ટી.પી.સી.ને અપાય તો બન્ને વીજ ઉત્પાદક કંપનીઓને રેલ્વે ભાડામાં મોટો આર્થિક ફાયદો થાય તેમ હતો.
આ અંગે સૌ પ્રથમવાર આ વિચાર ગુજરાતની સરકારે કેન્દ્ર સામે મૂક્યો હતો. અગાઉની કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ સમક્ષ વારંવાર રજુઆતો પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી પણ એક યા બીજા કારણોસર કેન્દ્રની સરકારે ગુજરાતને અન્યાયની પરંપરા કરતાં આ વાત કાને ન ધરીને આ બાબતે કોઇ જ નિર્ણય લીધો ન હતો.
સૌરભ પટેલે જણાવ્યું કે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતા નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આ અંગે ત્વરિત નિર્ણય લઇ કોલસાની ફાળવણીની ગુજરાતની પડતર માંગણીને મંજુરી આપી દીધી જેને કારણે બન્ને વીજ ઉત્પાદક કંપનીઓને ફાયદો થયો છે.
કોલસાની આ આંતરિક ફેરબદલી માટે તા.૩૦/૯/ર૦૧૪ના રોજ કરાર થયાના માત્ર ર૧ દિવસમાં જ કરારનું અમલીકરણ થયું અને ગુજરાતને એન.ટી.પી.સી.ના કોલસાની પ્રથમ રેક તા.ર૧/૧૦/ર૦૧૪ના રોજ અને એન.ટી.પી.સી.ને કોરિયા-રેવા કોલ ફિલ્ડના કોલસાની પ્રથમ રેક તા.ર૭/૧૦/ર૦૧૪ના રોજ મળી પણ ગઇ છે. તેમ ઊર્જામંત્રીએ ઉમેર્યું હતું.
આ અંગે વધુ વિગતો આપતા ઊર્જામંત્રીએ જણાવ્યું હતું કે ૧૦ લાખ મેટ્રીક ટન કોલસાની આંતરિક અદલા-બદલીના કરારથી ગુજરાતને રૂપિયા ૧૪૦ કરોડનો ફાયદો થશે. જ્યારે કોલસાના પુરેપુરા જથ્થાના એટલે કે, રપ લાખ મેટ્રીક ટન કોલસાની આંતરિક અદલા-બદલી થશે એ વખતે રાજ્યને રૂપિયા ૪૦૦ કરોડ અને કેન્દ્રને રૂપિયા પ૪૫ કરોડ મળી કુલ રૂપિયા ૯૪પ કરોડનો ફાયદો થશે. તેનો સીધો લાભ દેશના વીજ વપરાશકારોને મળશે.
ઉર્જામંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તો પ્રજાના હિતમાં ત્વરિત નિર્ણયો લેવાય તેનો લાભ સામાન્ય પ્રજાજનોને મળે તેવા સુશાસનના અભિગમ સાથે વડાપ્રધાનએ કેન્દ્ર-રાજ્ય સંબંધોને સુદ્રઢ બનાવ્યા છે તેનો આ દેખીતો ફાયદો ગુજરાતને થયો છે.