ઑનલાઈન શિક્ષણ આજથી બંધ, સંચાલકોનો નિર્ણય - ફી નહિ તો ઑનલાઈન શિક્ષણ નહિ
રાજ્યમાં આજથી ઑનલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યુ છે. શાળા સંચાલકોનુ કહેવુ છે કે ફી નહિ તો ઑનલાઈન શિક્ષણ નહિ.
ગુજરાત રાજ્યમાં આજથી ઑનલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યુ છે. શાળા સંચાલકોનુ કહેવુ છે કે ફી નહિ તો ઑનલાઈન શિક્ષણ નહિ. વિગત મુજબ કોરોના મહામારીના કારણે રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ થશે એ નક્કી ન હોવાથી સ્કૂલોએ ફી વસૂલવી જોઈએ કે નહિ તેવી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં થઈ હતી. આ અરજીના અનુસંધાનમાં હાઈકોર્ટે રાજ્યની સરકાર પાસે આ સંદર્ભે શું કરવુ તે અંગે અભિપ્રાય માંગ્યો હતો.
ગુજરાત સરકારે પરિપત્ર રજૂ કરીને હાઈકોર્ટમાં કહ્યુ કે જ્યાં સુધી સ્કૂલો ચાલુ ન થાય ત્યાં સુધી ફી ઉઘરાવવી નહિ. આ પરિપત્રના વિરોધમાં ખાનગી શાળા સંચાલકોએ આજથી ઑનલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પરિપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે સ્કૂલો જ્યારથી વાસ્તવિક રીતે બંધ થઈ ત્યારથી જ્યારે વાસ્તવિક રીતે શરૂ થાય ત્યાં સુધીના સમયગાળામાં સ્કૂલો ટ્યુશન ફી લઈ શકે નહિ. વળી, સ્કૂલો ચાલુ જ ન હોવાથી કોઈ પણ પ્રકારની ઈત્તર પ્રવૃત્તિની ફી પણ લઈ શકે નહિ.
વળી, પરિપત્રમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે જે સ્કૂલોએ ફી વસૂલી છે તેમણે આગામી સત્રમાં તે મજરે આપવાની રહેશે. સરકારે પરિપત્રમાં સ્કૂલોને ઑનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની પણ તાકીદ કરી છે. જે મુજબ સ્કૂલોએ ઑનલાઈન શિક્ષણ તો આપવાનુ રહેશે પરંતુ તે ફી વસૂલી શકશે નહિ. જો કે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી લેવી જોઈએ નહિ તેવો માત્ર સરકારનો અભિપ્રાય છે. 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં આ સંદર્ભે સુનાવણી કરવામાં આવશે.
દેશમાં 24 કલાકમાં 45,720 નવા કેસ, કુલ કેસ 12 લાખથી વધુ થયા