ગાંધીનગરઃ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાઢી સાઇકલ રેલી
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાઢી સાઇકલ રેલી
ગાંધીનગરઃ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દાને આગળ ધપાવી નરેન્દ્ર મોદીએ લોકસભા 2014ની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. જો કે હવે મોંઘવારીને નાથવામાં મોદી સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવી કોંગ્રેસે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા માટે 10મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. જણાવી દઈએ કે બંધ દરમિયાન ક્યાંક શાંતિ પૂર્ણ માહોલ જોવા મળ્યો હતો તો ક્યાંક હિંસાના બનાવ પણ બન્યા હતા.
કોંગ્રેસનો વિરોધ
આગામી મે મહિનામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના છે ત્યારે, શાસક ભાજપ સરકાર અને વિરોધ પક્ષ કોંગ્રેસ આ સત્રનો રાજકીય ફાયદો ઉઠાવવાની ભરપૂર કોશિશ કરશે. વિધાનસભાના સત્રમાં તોફાનના સંકેત આપતા કોંગ્રેસે મંગળવારે સવારે સત્ર શરૂ થવાના ટાણે આક્રોશ, રેલી દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો. તો વિધાનસભામાં પણ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરતાં તેની સામે વિધાનસભાના નિયમોના નિયમ 106 હેઠળ મંત્રીમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિધાન સભા ગૃહમાં રજૂ કરવાની અનુમતિ માગતી નોટિસ પણ સ્પીકરને સોંપી દીધી છે.
કોંગ્રેસના ધારાસભ્યોની સાઇકલ રેલી
ઉપરાંત ગાંધીનગરમાં કોંગ્રેસી ધારાસભ્યોએ સાઇકલ રેલી કાઢી ભાજપ સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. પરેશ ધાનાણીએ કહ્યું કે, મોંઘવારીનો માર ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યો છે. વધુમાં કહ્યું કે 'બહુ થયો મોંઘવારીનો માર હવે હટાવો મોદી સરકાર સંકલ્પ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માંગ સાથે, પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે છે તેવી માગણી સાથે સાઇકલ રેલી કાઢી છે.' આ સાઇકલ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગઢડાના ધારાસબ્ય પ્રવીણ મારુ, કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા.
સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ
ઉલ્લેખનીય છે કે કૂદકેને ભૂસકે વધી રહેલી પેટ્રોલની કિંમતો અમદાવાદમાં 81.37ની સપાટીને કૂદાવી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમતો પણ 79.36 રૂપિયા પ્રતિ લીટરની સપાટીને કૂદાવી ગઈ છે. ત્યારે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના તમામ શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.