જાણો : ગુજરાતમાં BJP સરકારે કેવી રીતે આચર્યું બંદર કૌભાંડ?
અમદાવાદ, 7 ઓગસ્ટ : ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસના અગ્રણી નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં આચરવામાં આવેલા બંદર કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. વાઘેલાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે 1995માં 10 બંદરોનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત મુન્દ્રા બંદરને સંયુક્ત રીતે વિકસાવવાના બદલે સરકારે આ બંદર અદાણીને પધરાવી દીધું હતું.
ગુજરાતમાં આચરવામાં આવેલા બંદર કૌભાંડના સંદર્ભમાં શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું કે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા થયેલી અનિયમિતતાની કોલગેટ કૌભાંડ જેટલી ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો શાસકો માટે જેલના સળિયા સિવાય કશું બચે નહીં એવું વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
વાઘેલાએ કેગના અહેવાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની કામગીરી અંગે કરેલી ઓડિટ ટિપ્પણીઓ ટાંકીને જણાવ્યું હતું કે સરકારે 10 બંદરોમાંથી ચાર બંદરો સંયુક્ત ક્ષેત્ર અને છ બંદરો ખાનગી ક્ષેત્રમાં વિકસાવવાનું નક્કી કર્યું હતું.
મુન્દ્રા બંદર સંયુક્ત ક્ષેત્રમાં વિક્સાવવાનું નક્કી થયું હતું પરંતુ સરકારે અદાણીને આપેલી કેપ્ટીવ જેટ્ટીની મંજૂરીનો ગેરલાભ લઈને પોતાની એપીએલને મેરિટાઈમ બોર્ડની જીપીઆઈડીસીએલ કંપની સાથે કરાર કરી મુન્દ્રા બંદરને પોતાનું કરી જવાનો કારસો કર્યો હતો.
આ અંતર્ગત બંનેની સંયુક્ત ભાગીદારીથી એક નવી કંપની ઊભી કરીને ક્ધસેસન કરારથી એકત્રીકરણ યોજના કરાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારનો શેરફાળો 26 ટકાથી ઘટીને 11 ટકા કરાયો પરંતુ શેરોની કિંમત અને મૂડીફાળાની ગોઠવણીથી સરકારનું ફન્ડિંગ માત્ર 8.55 ટકા થઈ જાય તેવો તખતો ઘડાયો હતો.
આમ આખરે માત્ર રૂપિયા 197 કરોડના ડિફરન્સથી આખું બંદર તત્કાલિન મોદી સરકારે અદાણીને ચરણે ધરી દીધું હતું. બાકીના એક પણ બંદરનો વિકાસ સરકારે થવા દીધો નથી. દહેજ બંદર અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ અને હજીરા અદાણી પોર્ટનો જ વિકાસ થયો છે.
બંદરો પર જેટીઓ બાંધવામાં પણ કૌભાંડો આચરાયા છે. પોલીસીની વિરુદ્ધ જઈને 61 જેટલીઓ કેપ્ટિવ રૂપે ધમધમે છે. ખાનગી જેટી-બંદરો 93 ટકા જેટલો બિઝનેસ કરે છે જ્યારે મેરિટાઈમ બોર્ડને માત્ર 6 ટકા જેટલો જ ધંધો મળે છે એવું તેમણે ઉમેર્યું હતું.