પાકિસ્તાને છોડ્યા 145 માછીમારોને, નવા વર્ષે પહોંચશે ઘરે
પાકિસ્તાનમાંથી મુક્ત થયેલા 145 માછીમારો પહોંચશે વતનમાં, બીજા તબક્કામાં મુક્ત થશે 146 માછીમાર
માછીમારી કરતી વખતે ભૂલથી પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશી ગયા હોય અને પાકિસ્તાનની જેલમાં બંધક હોય તેવા માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. મુક્ત થયેલા માછીમારોના નામ જાણીને વતનના પરિવારની આંખોમાંથી હર્ષાશ્રુ આવી ગયા હતા. પાકિસ્તાન સરકારે કુલ 291 માછીમારો મુકત કરવાનો નિર્ણય કરી પ્રથમ તબક્કાના જથ્થામાં 145 માછીમારો મુકત કર્યા છે. જયારે બાકીના 146 માછીમારોને 8 મી જાન્યુઆરી 2018ના રોજ મુકત થયા બાદ માદરે વતન 13 મીએ પહોંચશે.
પાકિસ્તાનની જેલમાં કેદ 533 ભારતીય માછીમારોને મુકત કરાવવા ભારત સરકારે કરેલા પ્રયાસોના કારણે તાજેતરમાં પાકિસ્તાન સરકારે 291 ભારતીય માછીમારોને મુકત કરવાનો નિર્ણય કર્યો છે. મુકત કરાયેલા માછીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યા બાદ માછીમારો ત્યારબાદ વેરાવળ 2 જી જાન્યુઆરીના રોજ પહોંચશે. આમ નવા વર્ષે લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં સબડતા પરિવારજનોને ફરી મળવાની ખુશી માછીમાર પરિવારોના ચહેરા પર સાફ દેખાતી હતી.