ધારાસભ્યોની ઉંમર અંગે પાટીલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે તેના ભાગરૂપે ભાજપના નેતાઓ દ્વારા જન યાત્રા કરવામાં આવી રહી છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે તેના ભાગરૂપે ભાજપના નેતાઓ દ્વારા જન યાત્રા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અમરેલી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સી. આર. પાટીલે પક્ષની કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. જે સાથે એક મોટી જાહેરાત પણ કરી હતી. જેના કારણે ગુજરાતના રાજકરણમાં ચર્ચાનું જોર વધ્યું છે.
સી. આર. પાટીલ અમરેલી મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ચૂંટણીમાં ટિકીટ નહીં આપવાનો નિર્ણય ફક્ત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે હતો. જેનો સીધો અર્થ એમ થયો કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુની ઉંમરના દાવેદારોને પણ ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ નેતાઓ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરનાને ટિકિટ નહીં આપવાના નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેની અસર આગામી ચૂંટણીમાં થઇ શકે છે, જે કારણે ભાજપ પ્રદેશ પ્રમુખને આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર પડી હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી ખાતે સી. આર. પાટીલ દ્વારા ભાજપના કેસરી સેવા યજ્ઞ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે મદદરૂપ થવા માટે આ કાર્યાલયનું નિર્માણ કરાયું છે.
આ સાથે કોરોના કાળમાં મૃત્યુ પામેલા ભાજપના કાર્યકરોને મદદરૂપ થવા માટે ક્રાઉડ ફંડિગ મારફત એક ફંડ એકત્રિત કરવાની પણ શરૂઆત અમરેલી ખાતેથી કરવામાં આવી છે. આ ફંડમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ 10 લાખ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5 લાખ અને સાંસદ નારણ કાછડિયાએ કાર્યકરોના ફંડમાં 2.51 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
આ દરમિયાન એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાટીલે નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સી. આર. પાટીલે જણાવ્યું કે, સંગઠનની તાકાત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતાને કારણે ઝાડુએ પર ઝાડુ ફરી વળ્યું છે. આ સાથે પાટીલે રાજુલામાં રેલવેની જમીન પડાવી લેવા બાબતે કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.