PM મોદીને બાપુનો ડર લાગે છેઃ અશોક ગેહલોત
શુક્રવારે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે બાપુ સાથે મતભેદની અફવાઓનું ખંડન કર્યું હતું.
શુક્રવારે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત શંકર સિંહ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, અહીં બંન્ને નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી. ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં શંકર સિંહ વાઘેલા નારાજ થયા હોવાના અહોવાલોને અશોક ગેહલોતે ફગાવ્યા હતા. પત્રકાર પરિષદમાં અશોક ગેહલોતે કહ્યું કે, બાપુ સાથે સારી વાત થઇ છે. આગામી ચૂંટણી અમે સાથે મળીને લડીશું.

વડાપ્રધાનને બાપુનો ડર લાગે છે
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે હતા, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા શંકર સિંહ વાઘેલાના કરેલા વખાણ અંગે વાત કરતાં અશોક ગેહલોતે જણાવ્યું કે, વડાપ્રધાનને બાપુનો ડર લાગે છે. શંકરસિંહ કોંગ્રેસથી નારાજ નથી, આ ભાજપની રણનીતિ છે. ભાજપ જાણીજોઇને બાપુનું નામ ઉછાળે છે. જે રીતે બાપુએ ભૂતકાળમાં સરકાર તોડી હતી, એનો ભય હજુ પણ પીએમને છે. પીએમને પોતાના કુશાસનને કારણે બાપુનો ડર લાગી રહ્યો છે.
તમને કોણે કહ્યું હું નારાજ છું?
તો શંકરસિંહ વાઘેલાએ મીડિયાને સામે સવાલ કર્યો હતો કે, તમને કોણે કહ્યુ કે હું નારાજ છું? ભાજપે બાપુનો સંપર્ક કર્યાનો પણ તેમણે ઇનકાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, મેં પણ ક્યારેય ભાજપના નેતાઓનો સંપર્ક નથી કર્યો. ભરતસિંહ સોલંકી સાથે વિખવાદ હોવાના અહેવાલોને પણ તેમણે ફગાવ્યા હતા.

કોંગ્રેસે ક્યારેય ભાજપમુક્ત ભારતની વાત નથી કરી
કેન્દ્રની મોદી સરકારની 3 વર્ષની નિષ્ફળતાઓના મામલે બોલતાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કહ્યું કે, પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા તેમણે ચૂંટણી સમયે કરેલ વાયદાઓની હકીકત લોકો સમક્ષ મુકવી જોઇએ. ભાજપ કોંગ્રેસમુક્ત ભારતની વાતો કરે છે, પરંતુ કોંગ્રેસે ક્યારેય ભાજપમુક્ત ભારતની વાત નથી કરી. 3 વર્ષના શાસન બાદ આજે દેશમાં ચિંતાનું વાતાવરણ છે.
નોટબંધી બાદ સરકારે કેટલું ફંડ એકઠું કર્યું?
3 વર્ષની નિષ્ફળતાઓની ઉજવણી માટે સરકાર 2 હજાર કરોડનો ખર્ચ કરી રહી છે. નોટબંધી બાદ સરકારે કેટલું ફંડ એકઠું કર્યું હશે એ સરકાર જ જાણે! મેરા ભાષણ હી મેરા શાસન એટલે 3 વર્ષની મોદી સરકાર. પીએમ મોદી આટલી વધી વાતો કરે છે, પરંતુ ક્યારેય વ્યાપામ ગોટાળો, GPSCનો 20 હજાર કરોડનો ગોટાળો, છત્તીસગઢ સરકારનું કૌભાંડ અંગે બોલ્યા નથી. આ સરકાર કાળા નાણાથી બની છે કે વ્હાઇટ મનીથી, તે અંગે મોદીએ ખુલાસો કરવો જોઇએ. ઉદ્યોગપતિઓ પાસેથી મોદીએ કેટલું ચૂંટણી ફંડ લીધું એ મામલે તેમણે ખુલાસો કરવો જોઇએ અને જો ના લીધું હોય તો ચોખવટ કરવી જોઇએ.












Click it and Unblock the Notifications
