PM નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નહીં જાય, જાણો કેમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્રમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર 27 સપ્ટેમ્બરે વિશ્વ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરશે.
આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે આ પહેલાં જુલાઈ મહિનામાં જાહેર થયેલી યાદીમાં PM મોદીનું નામ હતું અને તેઓ 26 સપ્ટેમ્બરે સંબોધન કરવાના હતા.

આ સત્રમાં ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નેતાઓ પણ હાજર રહેવાના છે. ત્યારે PM મોદીએ લીધેલો આ નિર્ણય અનેક સવાલો ઊભા કરે છે. ખાસ કરીને જ્યારે અમેરિકા સાથે ભારતના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.
અમેરિકા અને ભારત વચ્ચેનો તણાવ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર રૂસ પાસેથી તેલ ખરીદવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા ભારત અને રૂસને ચીન પાસે ગુમાવી રહ્યું છે.
જો કે, તેમણે PM મોદીને ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર ગણાવીને વ્યક્તિગત સંબંધો સારા હોવાનો દાવો પણ કર્યો હતો. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લગાવ્યો છે, જેને તાજેતરના વર્ષોનો સૌથી કડક વેપારી નિર્ણય માનવામાં આવે છે.
આ ઉપરાંત ટ્રમ્પે SCO સમિટની એક તસવીર શેર કરી હતી, જેમાં PM મોદી રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. આ તસવીર દ્વારા ટ્રમ્પે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે ભારત ધીમે-ધીમે મોસ્કો અને બેઇજિંગની નજીક જઈ રહ્યું છે. ભારતે આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
કૂટનીતિક નિષ્ણાતો માને છે કે PM મોદીનો આ નિર્ણય અમેરિકા સાથેના વધતા તણાવ અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોઈ શકે છે. આ નિર્ણય સૂચવે છે કે ભારત અમેરિકા અને રૂસ-ચીન બંને સાથેના સંબંધોને સંતુલિત કરવાની જટિલ પરિસ્થિતિમાં છે.
હવે તમામની નજર વિદેશ મંત્રી એસ. જયશંકર પર રહેશે કે તેઓ ન્યૂયોર્કમાં ભારતનો પક્ષ કેવી રીતે રજૂ કરે છે. શું તેઓ અમેરિકાની નારાજગીને શાંત કરવાનો પ્રયાસ કરશે કે પછી વિશ્વને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો સ્પષ્ટ સંદેશ આપશે? આ નિર્ણયથી ભારતની વિદેશ નીતિની નવી દિશા પણ નક્કી થઈ શકે છે.












Click it and Unblock the Notifications
