PM મોદી: બોટાદની ધરતી છે તિર્થ સમાન
નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર અને નાગરા હવેલીથી બોટાદ પહોંચ્યા હતા. અહીં તેમણે લીંક - 2ની રૂપિયા 1500 કરોડના ખર્ચે નિર્માણ પામેલ યોજાનાના તબક્કા-1નું લોકાર્પણ કર્યું હતું.
સોમવારે સાંજે નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નાગરા હવેલી થી બોટાદ પહોંચ્યા હતા. અહીં તેમણે લીંક - 2ની રૂપિયા 1500 કરોડના ખર્ચે નિર્માણ પામેલ યોજાનાના તબક્કા-1નું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ રૂ.1695 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તબક્કા-2નો શુભારંભ સમારોહ પણ યોજાયો હતો.
સૌની યોજના હેઠળ કાનિયાડ-બોટાદના કૃષ્ણસાગર તળાવ થઇ ગઢડા તાલુકાની ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા જ્યારે ભીમડાદ જળાશયમાં નર્મદા નું પાણી પહોંચ્યું ત્યારે લોકોનો ઉત્સાહ જાણે માતો નહોતો. આ સરકારી યોજનાના ગ્રામજનોને ઘણા લાભ મળશે.

યોજનાના ફાયદા
- 9 જળાશયો ભરાશે
- કુલ 190 ગામોને આ યોજનાથી લાભ થશે
- 1,26,277 એકર જમીનને સિંચાઇનો ફાયદો
- બોટાદના 3, ભાવનગરના 5 અને સુરેન્દ્રનગરનું 1 જળાશય ભરાશે
- બોટાદ, ગઢડા, ભાવનગર, પાલિતાણા, ઉમરાળા અને ગરિયાધારને પીવાનું પાણી મળી રહેશે

બોટાદની ધરતી તિર્થ સમાન
બોટાદમાં પણ નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. તેમણે કેમ છો, મજામાં કહી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે, બોટાદની ધરતી ભાજપના કાર્યકર્તાઓ માટે તિર્થ સમાન છે. નરેન્દ્ર મોદીએ લોકો સાથે મળી નર્મદે સર્વદે ના નારા લગાવ્યા હતા, ત્યાર બાદ તેમણે લોકોને પોતાના મોબાઇલ ફોનની લાઇટ ચાલુ કરી મા નર્મદાને વધાવવાનું કહ્યું હતું.

ગુજરાતે મને શિક્ષિત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નહેરોમાંથી પાણી ચોરનારા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, પાઇપલાઇનમાંથી પાણી વહે એ સર્વશ્રેષ્ઠ. હવે પાઇપલાઇનમાંથી પાણી નહીં ચોરી શકાય. આજે ગુજરાતમાં 80 ટકા ઘરોમાં નળમાં પાણી આવે છે. આટલા વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ હું વડાપ્રધાન બન્યો. ગુજરાતવાસીઓનો હું હંમેશા આભારી રહીશ. ગુજરાતે મને શિક્ષિત અને દિક્ષિત કર્યો છે. અમારે ચૂંટણી જીતવાના કોઇ કારોબાર નથી કરવા, સેવા કરવી છે.

નર્મદા પ્રત્યે આપણી જવાબદારી વધી જાય છે
પીએમ મોદીએ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ મધ્ય પ્રદેશ સરકારનો આભાર માનવો જોઇએ. મધ્ય પ્રદેશ સરકારે નર્મદા તટ પર વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે. વૃક્ષારોપણ થશે તો જ નર્મદામાં પાણી રહેશે. નર્મદા માટે આપણી જવાબદારી હવે ઘણી વધી જાય છે. ખેડૂતો હવે ટપક પદ્ધિતિથી જ ખેતી કરવાનો સંકલ્પ કરે.













Click it and Unblock the Notifications
