રાજકોટમાં પીએમ મોદીએ નામ લીધા વિના વિપક્ષ પર સાધ્યુ નિશાન
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જાણો શું કહ્યુ તેમણે રાજકોટમાં...
રાજકોટઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. રાજકોટના આટકોટમાં કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે તેઓ રાજકોટ પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. હેલિકૉપ્ટર દ્વારા આટકોટ પહોંચી પીએમ મોદીએ હોસ્પિટલનુ લોકાર્પણ કર્યુ. હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓ નિહાળ્યા બાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા જ્યાં તેમણે જાહેર સભાનુ સંબોધન કર્યુ અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યા. પીએમે કહ્યુ - રાજકોટમાં એઈમ્સ, જામનગરમાં મારુ આયુર્વેદ અને અહીં મિની એઈમ્સ, વાહ મારી બાપુડી...

પ્રધાનમંત્રી મોદીએ આટકોટમાં વિપક્ષ પર નિશાન સાધીને કહ્યુ કે દિલ્લીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળુ મારી દે. પીએમે વધુમાં કહ્યુ, આજે માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. હોસ્પિટલના દાતાઓને અભિનંદન. તેની માતાઓને અભિનંદન કે જેણે આવા પુત્રોને જન્મ આપ્યો. આપણે નિયમ બદલ્યો કે ડોક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે. મેડિકલમાં પહેલા 1100 બેઠક હતી, હવે 8000 થઈ ગઈ. પહેલા અંગ્રેજી મિડીયમમાં જ ડોક્ટર થઈ શકાતું પણ હવે માતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય છે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યુ કે ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે. તેમજ સરકારની વિવિધ યોજના વિશે વડાપ્રધાને લોકોને માહિતી આપી હતી.












Click it and Unblock the Notifications
