PM મોદી હીરાબાના 100માં જન્મદિવસે ગુજરાતના પાવાગઢ મંદિરમાં કરશે પૂજા, જાણો આ મંદિરનો ઈતિહાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. આજે તેઓ પાવાગઢમાં પૂજા કરશે. જાણો આ મંદિરનો ઈતિહાસ...
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. આ ખાસ દિવસે પીએમ મોદી તેમની માતા હીરાબાના 100માં જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતાં. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતાં. પીએમ મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી. માતા હીરાબાના ચરણ ધોઈ પી.એમ મોદીએ તે પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.
ધ્વજારોહણ સાથે પાવાગઢ યાત્રાધામનો ઈતિહાસ જોડાયેલો
પ્રધાનમંત્રી મોદી આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સવારે11 વાગે તેઓ પાવાગઢ પહોંચશે જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવશે. ત્યારબાદ પાવાગઢ મંદિરમાં પ્રધાનમંત્રીના હસ્તે ધ્વજારોહણ થશે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે ધ્વજારોહણ સાથે પાવાગઢ યાત્રાધામનો ઈતિહાસ જોડાયેલો છે.ઉલ્લેખનીય છે કે મંદિરના જીર્ણોધ્ધારનુ કામ અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્ર્સ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યુ છે. વળી, મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા 125 કરોડના ખર્ચ પૈકી 70 ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
નવા રુપરંગ સાથે આધુનિક શૈલાથી તૈયાર કરવામાં આવ્યુ છે મંદિર
પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચડાઈ થયા બાદ 5મી સદીથી મંદિરનુ શિખર જર્જરિત થઈ ગયુ હતુ. આ શિખરને હવે નવા રુપરંગ સાથે આધુનિક શૈલાથી તૈયાર કરવામાં આવ્યુ છે. સૌપ્રથમ વાર પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરીને મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો. ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત રાખીને સંપૂર્ણ મંદિર નવુ બનાવીને મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જયાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરીને નવુ શિખર બનાવવામાં આવ્યુ છે. જેના પર ધ્વજદંડક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનુ નિર્માણ
મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનુ શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. વળી, મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનુ નિર્માણ કરવાામાં આવ્યુ છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનુ નવનિર્માણ કરવામાં આવ્યુ છે.