વડોદરામાં PM: હું ગુજરાત આવું, વિકાસ કરું એમાં પણ વાંધો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે 1000 કરોડથી પણ વધુ કિંમતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરનાર છે.
રવિવારે ઘોઘા ખાતેથી ઘોઘો-દહેજ સુધીની મહત્વકાંક્ષી રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા હતા. ઘોઘામાં લોકાર્પણ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ જનસભા સંબોધી હતી, ત્યાંથી તેઓ 100 દિવ્યાંગ બાળકો સાથે ફેરીમાં જ બેસીને દહેજ પહોંચ્યા હતા. દહેજમાં પણ પીએમ મોદીએ જનસભાનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ બપોરે 4 વાગ્યાની આસપાસ પીએમ વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.
વડોદરામાં પીએમ મોદી આશરે 1140 કરોડની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરનાર છે, સાથે જ તેઓ જનસભા પણ સંબોધશે. વડોદરામાં પીએમ મોદી સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ, વાઘોડીયા રિજનલ વોટર સપ્લાય સ્કિમનું લોકાર્પણ, ગેંડા સર્કલથી મિષા ચોકડી સુધીના ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત, મહી નદી પર સીન્ધ્રોટ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ, જન મહેલનું ખાતમુહૂર્ત, ડાભોલ રિજનલ વોટર સપ્લાય સ્કિમનું ખાતમુહૂર્ત, સંખેડા-બોડેલી રિજનલ વોટર સપ્લાય સ્કિમનું ખાતમુહૂર્ત, HPCLની મુંદ્રા-દિલ્હી પેટ્રોલિયમ પાઇપલાઇન કેપેસિટી વધારવાની યોજનાનું ખાતમુહૂર્ત તથા ગ્રીન ફિલ્ડ માર્કેટિંગ પ્રોજેક્ટના ટર્મિનલનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પીએમના હસ્તે પ્રતિકાત્મક ચાવી પણ અપાઇ હતી. પીએમ મોદી અહીં 14 કિમી લાંબો રોડ શો પણ યોજાયો હતો.
પીએમની વડોદરા મુલાકાતની તમામ મહત્વની અપડેટ્સ મેળવો અહીં...
પીએમ મોદીના સંબોધનના કેટલાક અંશો:
એક્તા માટેની દોડ
આ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એક ભારત, શ્રેષ્ઠ ભારતના અભિયાન હેઠળ એક્તા માટેની દોડ(Run for Unity) દરેક જગ્યાએ યોજાશે. થોડા સમય પહેલાં સરદાર પટેલના જન્મદિવસે જ એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાનની શરૂઆત થઇ હતી. આ વર્ષે આ દોડમાં આખો ભારત દેશ તમામ પ્રકારના ભેદભાવથી મુક્ત થઇને એક્તા માટે એકસાથે દોડતો હોવો જોઇએ.
ગુજરાતનો 70 વર્ષનો હિસાબ બાકી છે
ગુજરાત પ્રત્યેના અણગમાને કારણે ઘણીવાર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વિકાસના કામમાં મોડું થયું છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે ત્રણ વાર ત્યારના વડાપ્રધાનને મળવા ગયેલો. તો મને પૂછે, અચ્છા મોદીજી આપકા કામ અબ તક નહીં હુઆ? દર વખતે એકનો એક સવાલ પૂછી કામ અટકાવી રાખ્યું હતું, અમારી સરકાર આવી કે 14 દિવસમાં નિર્ણય લઇ લીધો. ગુજરાત પ્રત્યે અણગમો ન હોય તેવી કેન્દ્ર સરકાર આવે ત્યારે વિકાસની એક પણ તક ગુજરાતે જતી ન કરવી. કારણ કે આપણો 70 વર્ષનો હિસાબ બાકી છે. આ પહેલાં મોરારજી દેસાઇ સત્તમાં હતા ત્યારે ગુજરાતને ફાયદો તયો હતો. ત્યાર બાદ અટલજીની સરકારમાં ગુજરાતને ફાયદો થયો. રાજ્યમાં ભૂકંપ આવ્યો ત્યારે જો કેન્દ્રમાં અટલજીની સરકાર ન હોત તો કદાચ 15 વર્ષે પણ રાજ્ય ફરી બેઠુ ન થઇ શક્યું હોત.
કોંગ્રેસના શાસનમાં આવાસ યોજના
કોંગ્રેસના શાસનમાં આવાસ યોજના હેઠળ જે મકાનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, તે સ્થળ અને લોકોને અનુકૂળ નહોતી. અહીં આવતા પહેલાં હું દરેક જગ્યાએ બનનાર મકાનનો નમૂનો જોઇને આવ્યો છું. દરેક ઘરના નમૂના અલગ છે, સ્થળ અને લોકોની અનુકૂળતા પ્રમાણે તથા સ્થાનિક માલના ઉપયોગ વડે બનાવી શકાય એવા ઘર બનાવવાની યોજના છે. 2022 સુધીમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હશે, એ દિશામાં સરકાર કામ કરી રહી છે.
કોંગ્રેસને વિકાસનો વિચાર ક્યાંથી આવે?
કોંગ્રેસને માત્ર આક્ષેપો કરતા આવડે છે. વિકાસ કરવાનો વિચાર એમને ક્યાંથી આવે? હા, માત્ર એક વિચાર કરતા આવડે છે. વિવિધ યોજનાઓમાં ગોટાળાનો વિચાર. કોંગ્રેસના શાસનમાં રોજ ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા. એમને તો લાગે છે કે, આ બધું અમારું જ છે, અમે લખાવીને લાવ્યા છે. આ સત્તા અમારી, આ ખુરશી અમારી, બધુ અમારા હકનું છે. જનતાનું જે થવાનું હોય એ થાય. પહેલા 18 હજાર ગામોમાં વીજળી નહોતી. આજે 16 હજાર ગામોમાં વીજળી પહોંચી છે. સવા વર્ષની અંદર 3 કરોડ ઘરોમાં ગેસ કનેક્શન પહોંચ્યા છે. વિકાસ અમારી પ્રાથમિકતા છે.
વિકાસ કરવો જોઇએ કે ન કરવો જોઇએ?
આજે 80% ઘરોમાં પીવાનું પાણી નળમાં આવે છે. પહેલાં મહિલાઓને પાણીના બેડાં લઇ ચાલતાં પાણી ભરવા જવું પડતું હતું, તો આ કામ કરીને સારું કર્યું કે ન કર્યું? આને વિકાસ કહેવાય કે ન કહેવાય? આવો વિકાસ કરવો જોઇએ કે ન કરવો જોઇએ? કેન્દ્ર સરકાર વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. પ્રજાના પૈસાની પાઇ-પાઇનો ઉપયોગ માત્ર જનતાના વિકાસ માટે થાય એ જ સંકલ્પ છે. વિકાસને વરેલ તમામ રાજ્ય સરકારોને કેન્દ્રનો પૂરો સાથ મળશે, પરંતુ વિકાસ વિરોધીઓને ભારત સરકારનો એક રૂપિયો પણ વાપરવા દેવામાં નહીં આવે.
હું ગુજરાત આવું એમાં પણ તકલીફ
પહેલાં ગુજરાતનું બજેટ માત્ર 8-10 કરોડ હતુું. જેમણે આ જોયું ન હોય તેમને તકલીફ થાય છે. હું ગુજરાત આવું એમાં પણ તકલીફ થાય છે. એ લોકો મને પૂછી ન શકે માટે ચૂંટણી પંચ પર પસ્તાળ પાડે છે. હું વિકાસ કરું તો વિપક્ષ ચૂંટણી પંચ પાસે જાય છે. તેમને પૂછે છે કે, હું ગુજરાત કેમ જાઉં છું? રિકાઉન્ટિંગને કારણે કેટલાક લોકોને ફાયદો થયો હતો. રિ-કાઉન્ટિંગમાં જીતેલા લોકો ચૂંટણી પંચને સવાલ કરે છે.
3600 કરોડની યોજનાઓની શરૂઆત
કેમ છો બધા? મજામાં? આજે એક પછી એક અને એકથી ચડિયાતી એક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની તક મળી. વિકાસ કાર્યોનો ધોધ વહે છે. આજે ગુજરાતમાં કુલ 3600 કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. આજે વડોદરામાં એટલી યોજનાઓ શરૂ થઇ છે કે, એકસાથે નામ પણ ન લેવાય. આ વિકાસ ખરેખર વખાણવાયોગ્ય છે. આ માટે ગુજરાતની વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વ હેઠળની સરકારને અભિનંદન પાઠવું છું.
પીએમ મોદી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાનું સંબોધન કર્યું હતું. નીતિન પટેલે અહીં કહ્યું કે, વડોદરા એ દેશનું પ્રથમ કક્ષાનું ઐતિહાસિક તેમજ દરેક સુવિધા ગરીબો સુધી પહોંચાડનાર શહેર બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં કહ્યું કે, ગુજરાત, વિકાસ અને નરેન્દ્ર મોદી, આ ત્રણેય પર્યાયવાચી શબ્દો છે. રોજગારી આપવામાં ગુજરાત છેલ્લા 14 વર્ષોથી નં.1 છે. કપાસના ટેકાનો ભાવ રૂ.850 હતો, જે 100 રૂ.ના વધારા સાથે રૂ.950 આપી રાજ્ય સરકાર ખેડૂત પાસેથી ખરીદી કરશે.