અક્ષરધામ મંદિર હુમલા કેસ; POTA કોર્ટે બે આરોપી નિર્દોષ જાહેર કર્યા
અમદાવાદ, 6 જૂન : ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર વર્ષ 2002માં કરવામાં આવેલા આતંકવાદી હુમલાના કેસમાં આરોપી જાહેર કરાયેલા બે જણને અમદાવાદની 'પોટા' કોર્ટે આજે નિર્દોષ છોડી મૂક્યા છે.
સ્પેશિયલ પોટા કોર્ટને મજીદ પટેલ ઉર્ફે ઉમરજી અને શૌકતુલ્લા ઘોરી ગુનેગાર હોવાનું જણાયું નથી. આ કેસમાં ગઈ 23 મેના રોજ કોર્ટે સુનાવણી પૂરી કરી હતી. પ્રીવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ (પોટા) કોર્ટના જજ ગીતા ગોપીએ ત્યારે પોતાનો ચુકાદો 6 જૂન સુધી અનામત રાખ્યો હતો.
મજીદ પટેલ પર આરોપ હતો કે તેણે મંદિર પરના આતંકી હુમલા માટે ભંડોળ એકત્ર કર્યું હતું. તેને વર્ષ 2008માં ભરૂચ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે ધોરીને તે જ વર્ષે હૈદરાબાદમાંથી પકડવામાં આવ્યો હતો.
આ કેસમાં વિશષ સરકારી વકીલ એચ એમ ધ્રુવે એવી દલીલ કરી હતી કે 'આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યની એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને માનવાનો ઇનકાર કરી દીધો હતો. આ સાથે કોર્ટે તેમાં ષડયંત્રની શક્યતાને પણ નકારી કાઢી હતી.'
આ કેસમાં ગઈ 16 મેએ સુપ્રીમ કોર્ટે 6 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ફાંસીની સજા પામેલા આદમ સુલેમાન અજમેરી અને અબ્દુલ કય્યૂમે કરેલી અપીલ ઉપર સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો હતો કે આ બંને જણ કોઈ પ્રકારા ષડયંત્રમાં જોડાયા હોવાનું ફરિયાદી પક્ષ સ્થાપિત કરી શક્યો નથી.
સુપ્રીમ કોર્ટે અલ્તાફ મલિક, અબ્દુલમિયા કાદ્રી, મોહમ્મદ હનીફ શેખ અને ચાંદ ખાન ઉર્ફે શાન મિયાને પણ નિર્દોષ જાહેર કર્યા હતા, આ આરોપીએ છેલ્લા 10 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. વર્ષ 2002ની 24 સપ્ટેંબરે ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા.