પાવર ઓફ પાટીદાર ફિલ્મ પ્રોડ્યુસરે નારાયણ સાઇ પર કર્યો ગંભીર આક્ષેપ
સાધિકા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આસારામને જોધપુર કોર્ટમાં આજીવન કેદની સજા થઇ છે. ત્યારે હવે નારાયણ સાઇ માટે ચિંતા વધી ગઇ છે.
સાધિકા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આસારામને જોધપુર કોર્ટમાં આજીવન કેદની સજા થઇ છે. ત્યારે હવે નારાયણ સાઇ માટે ચિંતા વધી ગઇ છે. કારણ કે આસારામનો દીકરો નારાયણ સાઇ પણ દુષ્કર્મ અને અન્ય બે ગુનામાં સુરત લાજપોર જેલમાં છે અને તેની સામે પણ ગુજરાત પોલીસને પણ નોંધપાત્ર પુરાવા મળ્યા છે. ત્યારે સુરતમાં આવેલી કેસર ભવાની ફિલ્મ પ્રોડ્યુક્શનના દિપક સોનીએ બુધવારે એક સ્ફોટક વિગતો જાહેર કરી છે.
જેમાં દીપક સોનીએ જણાવ્યું છે કે સુરત લાજપુર જેલમાં સજા ભોગવતા નારાયણ સાંઇએ હાર્દિક પટેલના વકીલ યશવંતસિંહ વાળાની મદદ લઇને દીપક સોની અને મહેશ પટેલ (ગેરીતા) સાથે લાજપોર જેલમાં મીટીંગ કરી હતી અને જેમાં નારાયણ સાંઇ તેમને જણાવ્યું હતુ કે જો પ્રોડ્યુસર નારાયણ સાંઇ અને આસારામ પર એક મુવી બનાવે જેમાં એવુ બતાવે કે આસારામ અને નારાયણ સાંઇ નિર્દોષ છે. જેથી આ મુવી રિલીઝ થાય તો લોકોમાં સારી છાપ પડે અને કોર્ટના જજમેન્ટમાં પણ કંઇક ફરક આવે આ માટે નારાયણ સાંઇએ તેમને રૂપિયા બે કરોડની ઓફર કરી હતી. જો કે નારાયણ સાંઇ અને આસારામની કરમ કહાની ખુબ જ વિવાદાસ્પદ હોવાથી મહેશ ગેરીતા અને દીપક સોનીએ તેમની ઓફર અસ્વીકાર કરી હતી અને તેમના જીવન પર ફિલ્મ બનાવવા માટેની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.
આ મુલાકાત હાર્દિક પટેલ સુરત જેલમાં હતો ત્યારે થઇ હતી. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ કેસમાંથી બચવા માટે નારાયણ સાંઇએ પોલીસ વિભાગના અધિકારીઓને કરોડોની લાંચ પણ ઓફર કરી હતી જો કે નારાયણ સાંઇના માણસો રૂપિયા આઠ કરોડની રોકડ સાથે સુરત પોલીસના હાથે ઝ઼ડપાઇ ગયા હતા. આ અંગે સુરત એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને જેની તપાસ હજુ ચાલું છે. ત્યારે સુરતમાં રહેતા ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવેલા આક્ષેપના પગલે ફરીથી નારાયણ સાઇ વિવાદમાં આવી ગયા છે.