ગાંધીનગર: અક્ષરધામમાં 49 ફૂટ ઉંચી નિલકંઠવર્ણીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા, હજારો ભક્તો રહ્યા હાજર
ગાંધીનગર: આજે એટલે કે, 11 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ પરિસરમાં મહંત સ્વામીના હસ્તે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારો હરિભક્તો જોડાયા હતા. BAPS સંસ્થાના વરિષ્ઠ સગુરુ સંતો તથા અક્ષરધામના મુખ્ય સંત આનંદસ્વરૂપ સ્વામી પણ હાજર જ હતા. તમામ સંતો મહંતોની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો હતો.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ પહેલા ગાંધીનગરમાં દિવ્ય અક્ષરધામની સ્થાપના કરી હતી. ત્યારબાદ અક્ષરધામ મંદિરમાં નિતનવા કાર્યક્રમ અને હરિભક્તો માટે વિવિધ ક્રાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે મંદિરના પરિસરમાં નિલકંઠ વર્ણીની ધ્યાનમુદ્રામાં 49 ફૂટ ઊંચી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

555 તીર્થોના જળનો કરાયો ઉપયોગ
8:30 વાગ્યે મહંત સ્વામી મહારાજ દ્વારા 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાર ધામ, પંચ કેદાર, પંચ સરોવર, સાત પૂરી, સાત બદરી, સાત ક્ષેત્રો, આઠ વિનાયક તીર્થો, નવ અરણ્યક, બાર મહા સંગમો, એકાવન શકિતપીઠો, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત છ મંદિરો, બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત 5 મંદિરો, તેમજ બીએપીએસની ગુરૂપરંપરા દ્વારા સ્થાપિત મંદિરો સહિત અનેક તીર્થોમાંના પવિત્ર જળ વડે વિધિ કરવામાં આવ્યો હતો.
ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ
ત્યારબાદ મહંત સ્વામી મહારાજે નીલકંઠવર્ણી મહારાજના હૃદયસ્થાનથી વિધિ શરૂ કર્યો અને ત્યારબાદ સ્વામિનારાયણ મહામંત્રના મંગળ ધ્વનિ સાથે નીલકંઠ વર્ણી મહારાજનું મુખદર્શન, મંગલદર્શન અને મૂર્તિપૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવી મંગલ ભાવના સાથે સ્વામિનારાયણ મહામંત્રના જાપ સાથે આરતીનું અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્ર પુષ્પાંજલિ અને ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
તપોમુદ્રામાં કરાઈ છે મૂર્તિની રચના
બીએપીએસ સંસ્થાના અક્ષરવત્સલદાસ સ્વામીએ સમગ્ર ભારતમાં શ્રી નીલકંઠ વર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ નીલકંઠ વર્ણી તપોમૂર્તિની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં નીલકંઠ વર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે.
ન્યૂજર્સીમાં પણ કરાઈ છે પ્રતિષ્ઠા
ઉલ્લેખનીય છે કે, પૃથ્વીના પશ્વિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સ્વિલ, ન્યુ જર્સી ખાતે સૌપ્રથમ વાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
