સુષમા સ્વરાજે પ્રવાસી ભારતીય દિવસનું કર્યું ઉદઘાટન
ગાંધીનગર, 7 જાન્યુઆરી: ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર ખાતે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પહેલા સુષમા સ્વરાજ સહિત મંચ પર બિરાજમાન મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રવાસી ભારતીય દિવસને લઈને સવારથી જ મહેમાનોનું મહાત્મા મંદિર ખાતે આગમન શરૂ થઇ ગયું હતું મહાત્મા મંદિરમાં આવેલા હોલ નંબર ચારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં તત્કાલીન બ્રિટિશ સરકાર સામેના આંદોલનની સફળતા બાદ ભારત પાછા ફર્યા તે દિવસ અને પ્રસંગની ઉજવણીરૂપે 12 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા વાર્ષિક પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જે નજરાણું ઉમેરવામાં આવ્યું તે ‘યુથ પ્રવાસી ભારતીય દિવસ'ની સર્વપ્રથમ ઉજવણીનો આજે મહાત્મા મંદિરમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના હસ્તે આરંભ થઈ ગયો છે.
તમને જણાવી દઇએ કે 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને આ વર્ષે તેમની વાપસને સોમું વર્ષ પણ છે. ગાંધીજીની વાપસીના સો વર્ષ પુરા થતાં હોવાથી આ વખતે પ્રવાસી ભારતીય દિવસની થીમ મહાત્મા ગાંધી પર જ રાખવામાં આવી છે.
ભારત દેશ 45 વર્ષ સુધીની વયની 60 વસતી ધરાવતો સૌથી યુવાન દેશ છે, તે હકીકતને ધ્યાનમાં રાખી યુથ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થશે, જેમાં ‘ભારત કો જાનો', ‘ભારત કો માનો' અને ‘21મી સદીના પરિપ્રેક્ષ્યમાં ગાંધી વિચારધારા' વિષયો પર જે તે વિષયના નિષ્ણાતો દ્વારા મનન અને ચિંતન કરવામાં આવશે.