પોરબંદર:રાષ્ટ્રપતિએ ગ્રામીણ ગુજ.માટે ODF સ્ટેટસ જાહેર કર્યું
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સોમવારે ગુજરાતની મુલાકાત લીધી હતી અને દરમિયાન ગ્રામીણ ગુજરાત માટે ઓડીએફ સ્ટેટસ જાહેર કર્યું હતું.
સોમવારે ગાંધી જયંતિ નિમિત્તિ દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ગુજરાતમાં સૌપ્રથમ તેમણે પોરબંદર ખાતે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે પોરબંદર ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું લોન્ચિંગ કર્યું હતું અને ગ્રામ્ય ગુજરાતને ઓડીએફ(ઓપન ડીફિકેશન ફ્રી)નું સ્ટેટસ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સંબોધન કરતાં કહ્યું હતું કે, 100 ટકા સ્વચ્છતાનું લક્ષ્ય પૂર્ણ કરી ગુજરાતે આપણા બાપુ પ્રત્યે સાચી શ્રદ્ધા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણી આઝાદીના કર્ણધાર હતા અને લોખંડી પુરૂષ સરદાર પટેલ આપણી એક્તાના નિર્માતા હતા. બાપુએ જાતે સફાઇ કરી સૌને એ શીખવાડવાનો પ્રયત્ન કર્યો હતો કે, ભારતને સંપૂર્ણ રીતે સ્વચ્છ બનાવવું એ દરેક ભારતવાસીની જવાબદારી છે.
ત્યાર બાદ રાષ્ટ્રપતિ કોવિંદે માંગરોળ ખાતે ફેઝ-3 ફિશિંગ હાર્બરનું ખાતમુહૂર્ત કર્યું હતું અને 45 ગામડાઓમાં પાણી પહોંચાડવાની યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે બોલતાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકો પોતાના પરિશ્રમ અને પુરૂષાર્થ માટે ઓળખાય છે. અહીંના લોકો ગુજરાતની ઉદ્યમશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના બંદરગાહો પર મળતા કુલ ટ્રાફિકમાંથી 48 ટકા ટ્રાફિક ગુજરાતના બંદરો પરથી જ આવે છે, આ ગુજરાત માટે ગર્વ લેવાની વાત છે. સમુદ્રની માછલીઓના વેપારમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે, ફિશિંગ હાર્બ્સ અને ફિશ લેન્ડિંગ સેન્ટર્સના નિર્માણથી ગુજરાતની અર્થવ્યવસ્થાને ફાયદો થશે, લોકોની જીવનશૈલીમાં સુધારો આવશે.