ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂરો થવા પર સુરત વિશ્વના સૌથી સુરક્ષિત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે વિકસિત થશેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે નિમિત્તે હાલમાં સુરત પહોંચ્યા છે.
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે નિમિત્તે હાલમાં સુરત પહોંચ્યા છે. પીએમ મોદી સુરત એરપોર્ટ પર પહોંચતા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનુ સ્વાગત કર્યુ હતુ. આ પછી પીએમ નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શોમાં ભાગ લીધો હતો. પીએમ મોદીને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ આજે રાજ્યના સુરત અને ભાવનગરમાં 3400 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે નવરાત્રિમાં અહીં આવવુ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરત શ્રમનુ શહેર છે. અહીં પ્રતિભાની કદર થાય છે. સુરતમાં વિકાસ દરેક ઘર સુધી પહોંચ્યો છે. સુરત એક એવુ શહેર છે જ્યાં દેશના ખૂણે-ખૂણેથી લોકો આવીને રોજગારી મેળવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે સુરત શહેર એકતા અને લોકભાગીદારી બંનેનુ અદ્ભુત ઉદાહરણ છે. ભારતનો કોઈ પ્રદેશ એવો નહીં હોય કે જેના લોકો સુરતની ધરતી પર ન રહેતા હોય. સુરતની સૌથી મોટી વિશેષતા એ છે કે આ શહેર શ્રમનુ સન્માન કરતુ શહેર છે.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે આ સદીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે વિશ્વમાં 3-P એટલે કે પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપની વાત થતી હતી ત્યારે હું કહેતો હતો કે સુરત 4-Pનુ ઉદાહરણ છે. 4-P નો અર્થ છે પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપ. આ મોડલ સુરતને ખાસ બનાવે છે. આગળ બોલતા પીએમ મોદીએ કહ્યું કે સુરતનો કાપડ અને હીરાનો વ્યવસાય દેશભરના અનેક પરિવારોનુ જીવન ચલાવે છે. જ્યારે ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે સુરત વિશ્વના સૌથી સુરક્ષિત અને સૌથી અનુકૂળ હીરા વેપારના હબ તરીકે વિકસિત થશે.
પીએમ મોદીએ સુરતમાં જનસભાને સંબોધતા કહ્યુ કે છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘર બનાવ્યા છે. તેમના જીવનધોરણમાં વધારો કર્યો. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે. તેમણે કહ્યુ કે સુરતને એરપોર્ટથી જોડતો રસ્તો શહેરની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને આધુનિકતાને દર્શાવે છે.