ગુજરાતમાં વર્ષ 2021ની પાણીની જરૂરીયાત પૂરી કરતો પ્રોજેક્ટ પૂર્ણ
સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લાના શહેરો માટે આશીર્વાદરૂપ એવી નર્મદા આધારિત નાવડા - બોટાદ / વલ્લભીપુર (બુધેલ) પાઇપ લાઇનનુ કાર્ય પૂર્ણતાને આરે છે. આગામી સમયમાં કાર્યરત થનારી આ મહત્વકાક્ષી યોજનાથી અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગરના શહેરી વિસ્તારો તેમ જ ગ્રામ્ય વિસ્તારો માટે દૈનિક 59 કરોડ લીટર વધારાનું પાણીનું વિતરણ કરાશે.
અંદાજીત રૂપિયા 400 કરોડના ખર્ચે તૈયાર થનાર આ યોજનામાં નાવડા બોટાદ પાઇપલાઇન તેમજ નાવડા વલ્લભપુર પાઇપલાઇન યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ જે આયોજન કરવામાં આવ્યુ છે. તે વર્ષ 2021માં આ વિસ્તારોને પાણીની કેટલી જરૂરીયાત રહેશે તે ધ્યાનમાં રાખીને પાણી અને પુરવઠા બોર્ડ ધનિષ્ઠ અને સુચારૂ આયોજન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ નાવડા - બોટાદ પાઇપલાઇન દ્વારા વધુમાં વધુ 200 MLD પાણી અમદાવાદ ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાને પુરૂં પાડવામાં આવે છે. પરતું આ જિલ્લાના 1132 ગામ અને 32 શહેરોની વસતીની સંખ્યા અનુસાર જેમાં જરૂરિયાત લાગી તેમાં સરકારે તાત્કાલિક રૂપિયા 400 કરોડના ખર્ચે પાઇપ લાઇન તથા પમ્પિંગ મશીનનીની ક્ષમતામાં વદારો કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. સૌરાષ્ટ્રની જનતાની પીવાના પાણીની માંગને પહોંચીવળવા માટે સમયસર યોજના પૂર્ણ કરવામાં આવશે.
નાવડા - બોટાદ યોજના હેઠળ નાવડા ખાતે નવું પમ્પિંગ સ્ટેશન તથા નાવડાથી બુધેલ સુધી 2000 મિલી મીટર વ્યાસની 77 કિલોમીટરની પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે. આ દ્વારા 1740 ઘનમીટર પાણી દર કલાકની ક્ષમતા ધરાવતા કુલ 6 પમ્પિંગ મશીનરી મારફતે દૈનિક 250 MLD (25 કરોડ લીટર દૈનિક)નું વિતરણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
જ્યારે નાવડા - બુધેલ (વલ્લભીપુર) ખાતે 77 કિ.મી. જેટલી પાઇપલાઇનના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે અને 2310 ઘનમીટર દર કલાકની ક્ષમતા ધરાવતી 6 પમ્પિંગ મશીનરી મારફત 33 કરોડ લીટર પાણીનું દૈનિક વિતરણ કરવામાં આવશે.
આમ નાવડા બોટાદ અને નાવડા બુધેલ પાઇપલાઇન યોજનાના કામને અગ્રતા આપીને સમયબધ્ધ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. અને સૌરાષ્ટ્ર વિસ્તારના મોટાભાગના વિસ્તારોને પાણી મળતા ઉનાળાના દિવસોમાં રાહત થશે.