પ્રસિદ્ધિ ભૂખ્યા મોદી ગુજરાતમાં નેનો લઇ આવ્યા: કેશુભાઇ
કેશુભાઇએ રાજકોટ ખાતે મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે 'રાજ્યના અનેક જિલ્લાઓમાં ઉપવાસનું આયોજન કરી મોદીએ 160 કરોડનો ધુમાળો કર્યો હતો. ઉપવાસ એ દરેક સમુદાયના લોકો માટે પવિત્ર હોય છે, પરંતુ મોદીએ તેને મજાક બનાવીને રાખી દીધી હતી. તેમણે જણાવ્યું કે મોદી ખોટા દાવાઓ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.'
કેશુભાઇએ જણાવ્યું કે 'સ્થાનિક ઉદ્યોગોને અવગણી નરેન્દ્ર મોદી પોતાની પ્રસિદ્ધિ વધારવા ગુજરાતના સાંણદ ખાતે નેનો પ્રોજેક્ટ લઇ આવ્યા. તેમણે જણાવ્યું કે મોદીના શાસનમાં ગુજરાતમાં માત્ર ઉદ્યોગપતિઓનો જ વિકાસ થઇ રહ્યો છે, જે અમારી પાર્ટી ચલાવી નહીં લે. જો અમને જનતાનું સમર્થન મળ્યું તો અમે સ્થાનિક ઉદ્યોગોને વિકાસ માટે પૂરેપૂરી તક આપીશું.'
કેશુભાઇએ સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના કારણમાં નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે 1569.50 કરોડ યુનિટ વીજળી કૃષિક્ષેત્રે ફાળવતો હતો, પરંતુ મોદીના શાસનમાં આ આંકડો ઘટીને 1328.50 કરોડ યુનિટ થઇ ગયો છે. તેમણે જણાવ્યું કે અમારી પાર્ટીનું મંત્ર છે- 'દરેક ખેતરમાં પાણી, દરેક હાથને કામ, અને દરેક ઘરમાં વીજળી'
કેશુભાઇએ આહ્વાન કર્યું કે 'અમને પાંચ વર્ષ તક આપો અમે વિકાસના દરેક કામ કરીને બતાવીશું જે નથી થયા. તેમણે જણાવ્યું કે વધતી જતી મોંઘવારી સામે અમારી પાર્ટી લડવા સક્ષમ છે. જો અમારી પાર્ટી સત્તામાં આવી તો યુવાનો માટે રોજગારીની તકો, ગરીબો માટે ઘર, તેમજ બેરોજગાર યુવાનોને 2000 રૂપિયાનું સ્પેશિય એલાઉન્સ આપવામાં આવશે.'
કેશુભાઇએ 15 નવેમ્બર સુધી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવાનું પણ જણાવ્યું હતું. તેમજ પાંચ દિવસની અંદર અમારી પાર્ટીને ચૂંટણી ચિહ્ન પણ મળી જશે. કેશુભાઇએ જણાવ્યું કે હું વિધાનસભાની ચૂંટણી વિસાવદરથી લડીશ.