Rahul Defamation case : રાહુલ માનહાનિ કેસમાં ફરિયાદી દાખલ કરશે પોતાનો જવાબ, 13 એપ્રિલે થશે સુનાવણી
Rahul Defamation case : માનહાનિ મામલે અદાલતે રાહુલ ગાંધીને સજા આપી છે. જે સામે કોંગ્રેસ નેતાએ ઉપલી અદાલતમાં અપીલ કરી હતી. આ અપીલના વિરોધમાં ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદી મંગળવારના રોજ પોતાનો જવાબ રજૂ કરશે.
29 માર્ચના રોજ સુરતની સ્થાનિક કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 2019ના એક કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી.
પૂર્વ મંત્રી અને બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની અપીલ બાદ મોદીનો જવાબ 11 એપ્રિલના રોજ રજૂ કરવામાં આવશે.
કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે, તેવું નિવેદન આપવા બદલ સુરતમાં રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના આધારે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલના રોજ થશે.