PM મોદીના ખોટા વાયદાઓ સાથે હરીફાઇ નહીં કરી શકું: રાહુલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારના તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. કોંગ્રેસની ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બનાસકાંઠાની મુલાકાતે હતા. આ અંગે વધુ વાંચો અહીં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રણ દિવસીય ગુજરાત યાત્રાના બીજા દિવસે એટલે કે રવિવારે તેમણે સૌ પ્રથમ અંબાજીમાં સોશિયલ મીડિયા અને આઇટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ભાજપની સોશિયલ મીડિયા નીતિ પર આકારા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, મોદીજી અને અમિત શાહ મીડિયામાં સચ્ચાઇની ફાઇન ટ્યૂનિંગ કરે છે. ત્યાર બાદ કોંગ્રેસની નવસર્જન યાત્રા દાંતા અને પછી પાલનપુર પહોંચી હતી. પાલનપુરમાં રાહુલ ગાંધીએ જાહેરસભાનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ડીસા અને થરાની પણ મુલાકાત લીધી. બંને સ્થળોએ તેમણે જનસભા સંબોધી હતી અને અંતે તેમણે પાટણમાં વિશાળ જનસભાનું સંબોધન કર્યું હતું.
"પૂર સમયે 500 કરોડનો વાયદો, તેનું શું?"
પાલનપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'હું ભારતમાં ખૂબ ફર્યો છું, આજે પહેલીવાર જોઇ રહ્યું છે કે કોઇ પ્રદેશમાં દરેક સમાજના લોકો આંદોલનો કરી રહ્યાં હોય. ગુજરાતમાં આજે કોઇ સુખી નથી. પટેલ સમાજ આંદોલન કરી રહ્યો છે, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને આદિવાસી સમાજ પણ આંદોલન કરી રહ્યો છે. તમારે ત્યાં પૂર આવ્યું, 500 કરોડનો વાયદો કરવામાં આવ્યો, પરંતુ હાથમાં કંઇ ન આવ્યું. જે કંઇ આવ્યું, તે ભાજપના લોકોને જ મળ્યું. મનરેગાને ચલાવવા માટે કોંગ્રેસ પક્ષે આખા દેશ માટે 35 હજાર કરોડ ફાળવ્યા હતા, જેનાથી દેશના કરોડો લોકોને રોજગાર મળ્યો. સામે ભાજપે એટલા જ પૈસા ટાટા-નેનો ફેક્ટરી માટે ફાળવ્યા, તે પણ માત્ર એક પ્રદેશમાં. આ યોજનાને નરેન્દ્ર મોદીજીએ જાતે 33 હજાર કરોડ રૂપિયા, તમારી જમીન, પાણી અને વીજળી આપ્યા. પરંતુ આજે રસ્તા પર કેટલી નેનો ગાડી દેખાય છે? મેં હજારો કિમીનો પ્રવાસ કર્યો, મને તો એક પણ ન દેખાઇ.'
"કયા ગરીબને નર્મદાનું પાણી મળ્યું?"
'ટાટા-નેનો યોજનાને વગર પૂછ્યે તમે 33 હજાર કરોડ આપ્યા, પંરતુ જરૂરિયાત સમયે તમે 500 કરોડ પણ ન આપી શક્યા. આજે ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થયું છે, ડોનેશન આપવું પડે છે. આરોગ્ય સેવાઓ, ઇલાજ મોંઘો છે. સામાન્ય માણસ પાસે જ્યાં પૈસાની સગવડ નથી, ત્યાં અમીરોને 33 હજાર કરોડ આપતા મોદીજી ખચકાતા નથી. આ તેમના પૈસા નથી, આ જનતાના પૈસા છે. મોદીજીએ પોતાના 5-10 ઉદ્યોગપતિ મિત્રોને કરોડો રૂપિયા આપ્યા છે, એ જનતાના રૂપિયા છે. એ 5-10 લોકો મોદીજીનો પ્રચાર કરે છે. 22 વર્ષથી નર્મદાના પાણીની વાત થઇ રહી છે, એ પાણી શું ગરીબ ખેડૂતોને મળ્યું? ગુજરાતમાં 30 લાખ બરોજગાર યુવાઓ છે, સુરતની ફેક્ટરીઓ બંધ થઇ ગઇ છે, નોટબંધી અને જીએસટી કરી આખા દેશમાં બેરોગજારી ફેલાવી. આ નરેન્દ્ર મોદીજીની સચ્ચાઇ છે.'
"કોંગ્રેસના દબાણ હેઠળ GST ઘટ્યો"
આ સાથે જ રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના મામલે પણ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મોદીજીએ જીએસટી નહીં, ગબ્બર સિંહ ટેક્સ લાગુ કર્યો હતો. હવે કોંગ્રેસના દબાવ હેઠળ, જનતાના દબાવ હેઠળ તેમણે 28 ટકાની ચીજો 18 ટકામાં મુકી છે, પરંતુ અમે અહીં નહીં અટકીએ. જ્યાં સુધી જીએસટી ગરીબ જનતા, નાના અને મધ્યમ વેપારી, નાના દુકાનદારો માટેનો ટેક્સ ન બને ત્યાં સુધી કોંગ્રેસ માટે અટકશે નહીં અને સરકાર પર દબાણ કરતી રહેશે. ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે, સુરતના વેપારીઓએ મને કહ્યું હતું. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સેબીએ મુકેલ આરોપો અંગે પણ પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ખાઇશ નહીં ને ખાવા દઇશ નહીં'ની મોદીજીની નીતિ હવે બદલાઇને 'ન બોલીશ, ન બોલવા દઇશ' થઇ ગઇ છે. ચૂંટણી સમયે મોદીજીએ કહ્યું હતું કે તેઓ ચોકીદાર છે, પરંતુ જનતાને લાગી રહ્યું છે કે તમે ભાગીદાર છો. જનતા જાણવા માંગે છે, તમે આ ભ્રષ્ટાચાર અંગે શું માનો છો? 2-3 શબ્દો તો બોલો, નહીં બોલો તો એમ જ લાગશે કે તમે ભાગીદાર છો.'
થરામાં રાહુલ ગાંધીએ કર્યું સંબોધન
પાલનપુર બાદ રાહુલ ગાંધીએ ડીસામાં જનસંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેઓ બનાસકાંઠાના માર્બલ બિઝનેસ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ડેલિગેશનને મળ્યા હતા અને પાટીદાર નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ડીસામાં ડિનોટિફાઇડ ટ્રાઇબ્સના લોકોને મળી તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી. ત્યાર બાદ તેઓ થારમાં જનસંબોધન કરવા પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, 'પૂર સમયે વળતરનો વાયદો કર્યો હતો, પરંતુ વળતર મળ્યું નહીં. ગુજરાતમાં આવા વાયદાઓ ભાજપ અને નરેન્દ્ર મોદીજીએ 22 વર્ષ સુધી કર્યા. બટાકા વેચતા ખેડૂતોને મશીન મુકવાનો વાયદો કર્યો હતો. મોદીજીએ કહ્યું હતું કે, મશીનમાં એક તરફથી બટાકા અંદર જશે, બીજી તરફથી સોનું નીકળશે. બટાકાના ખેડૂતોની આવકમાં અનેકગણી વૃદ્ધિ થશે એવો વાયદો મોદીજીએ કર્યો હતો. પરંતુ આજે હકીકત એ છે કે, ખેડૂતોએ પોતાના વાવેલા બટાકા ફેંકવા પડે છે. મોદીજીએ ખેડૂતો, ગરીબો અને સમાજના દરેક વર્ગને વાયદાઓ કર્યા, સમાજના સૌથી અમીર લોકોને પણ તેમણે વાયદાઓ કર્યા. એક તરફ માત્ર વાયદાઓ કરો છો અને બીજી તરફ પૈસા આપો છો.'
મનરેગા અને ટાટા-નેનોની સરખામણી
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, 'કોંગ્રેસ સરકારે મનરેગા માટે 35 હજાર કરોડની ફાળવણી કરી હતી. આ બહુ મોટી રકમ હોય છે. આટલા પૈસામાં કોંગ્રેસે દેશભરમાં કરોડો લોકોને રોજગાર આપ્યો. મોદીજીએ એટલી જ રકમ, 33 હજાર કરોડ રૂપિયા એક કંપનીને આપ્યા. યુપીએ સરકાર સમયે મારી મુલાકાતો દરમિયાન દરેક જિલ્લામાં મને લોકો કામ કરતા જોવા મળતા હતા. આજે ગુજરાતમાં હજારો કિમીના પ્રવાસમાં મને એક પણ નેનો ગાડી દેખાઇ નથી. મોદીજીએ ગુજરાતમાં 90 ટકા કોલેજોને પ્રાવેટાઇઝ કરી નાંખી છે, હોસ્પિટલો પ્રાઇવેટાઇઝ કરી દીધી છે. નોટબંધીમાં પ્રમાણિકો લાઇનમાં ઊભા હતા અને સૂટ-બૂટવાળા લોકોએ પોતાનું તમામ કાળુ નાણું સફેદ કર્યું.'
પાટણમાં રાહુલ ગાંધી
થરા ખાતે રાહુલ ગાંધીએ વાડીનાથ મંદિરે દર્શન કર્યા હતા અને સાદા રામ બાપુની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ પાટણ પ્રગતિ મેદાનમાં સંબોધન કરવા પહોંચેલ રાહુલ ગાંધીએ જય સરદાર, જય માતાજી અને જય ભીમના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, 22 વર્ષ તેમણે ગુજરાતને ડરાવીને રાખ્યું છે. રાજ્યમાં દરેક સમાજમાં આંદોલનો થાય છે, એ અંગે પીએમ કંઇ નથી બોલતા. ભ્રષ્ટાચાર પર પણ ચોકીદાર બનીને આવેલા પીએમ કંઇ નથી બોલતા. તેમની નવી નીતિ છે,ન બોલીશ, ન બોલવા દઇશ. નોટબંધીપર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ સમજવાની જરૂર છે કે, તમામ રોકડા એ કાળુ નાણું નથી અને તમામ કાળા નાણાં રોકડમાં પણ નથી. તેમણે આગળ જણાવ્યું કે, જો સરખી સગવડ કરવામાં આવે તો સુરતના વેપારીઓ ચીન સાથે હરીફાઇ કરીને 70 હજાર યુવાઓને રોજગાર પૂરો પાડી શકે એમ છે. હું વાયદાઓ નથી કરતો, જેના શબ્દોમાં દમ ના હોય તેણે વાયદાઓ કરવા પડે છે. મોદીજી ખેડૂતોને ચાંદા પર ખેતર અપાવવાનો વાયદો કરે છે. મોદીજીની આવી વાત સાથે હું હરીફાઇ ન કરી શકું.