આ GST નથી, ગબ્બર સિંહ ટેક્સ છે: રાહુલ ગાંધી
સોમવારે બપોરે રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા હતા.
સોમવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અલ્પેશ ઠાકોર સોમવારે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાનાર છે. ગાંધીનગર ખાતે રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોર સાથે નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં સંબોધન કર્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની પણ મુલાકાત કરશે, એમ કહેવાઇ રહ્યું હતું. જો કે, તાજેતરની જાણકારી અનુસાર, હાર્દિક પટેલે આ વાત નકારી છે. હવે હાર્દિક આ વખતે પણ રાહુલ ગાંધીના આમંત્રણનો અસ્વીકાર કરશે કે કેમ, એ જોવું રહ્યું. આ ઉપરાંત રાહુલ ગાંધી રાજ્યના દલિત આગેવાનો અને પાટીદાર આગેવાનો સાથે પણ બેઠક કરનાર છે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની લેટેસ્ટ અપડેટ્સ:
4.06: પરંતુ મોદીજી, અરુણ જેટલીએ કહ્યું કે, અમે કોંગ્રેસની વાત નહીં સાંભળીએ. અમે 18 ટકા પર ટેક્સ કેપ કહ્યું એ લોકો નહીં માન્યા. તેમણે કહ્યું, અમે 28 ટકાનો ટેક્સ લગાવીશું. એ લોકોએ અમારી એક પણ વાત ન માની અને જીએસટી લાગુ કરી બીજી કુહાડી મારી. આ જીએસટી નથી, ગબ્બર સિંહ ટેક્સ છે. નાનો દુકાનદાર, વેપારી ખતમ થઇ ગયા. હું આજે પણ કહી રહ્યો છું કે, જીએસટીને બદલવો પડશે, સરળ બનાવવો પડશે નહીં તો દેશને ભારે નુકસાન થશે. આ છે દેશ અને ગુજરાતની સચ્ચાઇ: રાહુલ ગાંધી
4.05: અહીં ખેડૂતોને કહેવા પૂછવા માંગુ છું કે, તમે બીજ ખરીદો તો મોબાઇલથી પૈસા આપો છો, ચેકથી આપો છો કે રોકડ આપો છો? આખા દેશની અર્થવ્યવસ્થાને મોદીજીએ ઉડાવી દીધી. નોટબંધી બાદ તુરંત મેં ચિદમ્બરમને ફોન કર્યો તો તેઓ હસી રહ્યા હતા. પરંતુ મોદીજી ત્યાં અટક્યા નહીં. અમે કહ્યું, જીએસટી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, એની પાછળ વિચાર એ છે કે આખા ભારત પર એક ટેક્સ લાગે અને ઓછો લાગે અને ઓછામાં ઓછા ફોર્મ ભરવા પડે: રાહુલ ગાંધી
4.00: જીએસટી અને એ પહેલાં નોટબંધી, 8 નવમ્બરે ખબર નહીં શું થયું? મોદીજી ટીવી પર આવ્યા અને કહ્યું, 500 અને 1000 રૂની નોટો મને તમારા પીએમને ગમતી નથી, આથી હું આને રાત્રે 12 વાગે રદ્દ કરવાનો છું. આ સાથે જ સમગ્ર દેસ પર મોદીજીએ કુહાડી મારી. પેહલા 2-3 દિવસ તો મોદીજીને પણ ન સમજાયું કે શું થયું. પછી ધીરે-ધીરે એમને સમજાયું કે ભૂલ થઇ. પછી તેમણે રડતા-રડતા કહ્યું કે, 30 ડિસેમ્બર સુધીમાં દેશમાંથી કાળું નાણું વિનાશ ન પામે તો મને ચાર રસ્તે ફાંસી આપજો: રાહુલ ગાંધી
3.58: મોદીજીએ આટલા લાંબા-લાંબા ભાષણો કર્યા પરંતુ જય શાહ વિશે એક પણ શબ્દ ન બોલ્યા. કોંગ્રેસ માટે અને હું ગુજરાત માટે જે પણ કરી શકીશું તે પૂરા મનથી કરી શું. ભારતમાં કંઇ પણ થાય, આકાશમાં રોકેટ છૂટે, યુનિ. બને મોદીજી કહે છે કે મેં કર્યું. પરંતુ શક્તિ જનતા પાસે છે. ગુજરાતમાં જે પણ થાય છે, તે તમે કરો છો. ગુજરાતની શક્તિ એને ચલાવે છે. સરકારનું કામ બોલવાનું નહીં, સાંભળાનું હોય છે. અમે એ જ કરવા માંગીએ છીએ. કોંગ્રેસની સરકાર આવશે, તો એ ગુજરાતની, ગુજરાતના દરેક વર્ગ, યુવાઓ, ખેડૂતો, મજૂરોની સરકાર હશે.
3.55: આ દેશમાં માત્ર અમીરોનું ઉધાર માફ થાય છે. નેનો માટે મોદીજીએ ગરીબોની જમીન, વીજળી, પાણી આપ્યું, સરકારના પૈસા આપ્યા. પરંતુ એ પૈસામાંથી કેટલી નેનો બની? ગુજરાતના રસ્તા પર મને કે જનતાને તો નેનો દેખાતી નથી, તો ક્યાં ગયા એ 35 હજાર કરોડ રૂપિયા? : રાહુલ ગાંધી
3.50: મોદીજી પોતાના મનની વાત કરે છે. આજે હું મોદીજીને ગુજરાતના મનની વાત કહેવા માંગુ છું. ગુજરાતના યુવા શિક્ષણ ઇચ્છે છે. રાજ્યની યુનિ. મોદીજીએ 5-10 ઉદ્યોગપતિના હાથમાં આપી છે, યુવાઓ પાસે એડમિશન માટે લાખોમાં માંગણી કરાય છે, જે તેઓ નથી આપી શકતા. શિક્ષણ લીધા બાદ ગુજરાતમાં રોજગાર નથી મળતો. એ યુવાઓના માતા-પિતા જ્યારે બીમાર થાય ત્યારે પૈસાના અભાવે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી તેમને બહાર કઢાય છે: રાહુલ ગાંધી
3.48: અલ્પેશજી જેવા બીજા બે યુવાનો છે, હાર્દિક છે, જીજ્ઞેશ છે. તેમના અવાજો પણ શાંત નહીં થઇ શકે. આ અવાજને દબાવી ન શકાય, ખરીદી ન શકાય. અંગ્રેજોએ ગાંધીજીને દબાવવાની કોશિશ કરી, એમને ગાંધીજી સાથે મળી લોકોએ ભારતમાં ભાગાડી દીધા. સરદાર, ગાંધીજી લોકોનો અવાજ સાંભળતા હતા, આજની ગુજરાત સરકાર લોકોના અવાજને ખરીદવા માંગે છે. પરંતુ મોદીજી એની કોઇ કિંમત નથી: રાહુલ ગાંધી
3.43: રાહુલ ગાંધીનું સંબોધન: સમાજમાં આજે પહેલીવાર દરેક વર્ગના લોકો આંદોલન કરી રહ્યાં છે. રાજ્યમાં દરેક વર્ગનો દરેક વ્યક્તિ કોઇ ને કોઇ કારણોસર આંદોલનમાં વ્યસ્ત છે. છેલ્લા 22 વર્ષમાં ગુજરાતની જનતાનીની નહીં, 5-10 ઉદ્યોગપતિની સરકાર ચાલી છે અને આથી જ લોકો આંદોલન કરી રહ્યાં છે.
3.35: અશોક ગેહલોતનું સંબોધન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 દિવસમાં વારંવાર આવવું પડે ગુજરાત, નેતાઓને મોકલવા પડે એ પરથી જ ખબર પડે છે કે તેઓ જાતે સમજી ગયા છે કે જનતાનો મિજાજ શું છે. પીએમ વારંવાર જૂની સરકારના વાંક કાઢે છે, એની જગ્યાએ તેમણે શું કર્યું એ અંગે જણાવે. ચૂંટણી નજીક આવતાં તેઓ પોતાની વિદેશ યાત્રાઓ પણ ભૂલી ગયા છે.
3.30: નાની બાળાઓએ રાહુલ ગાંધીને રોટલો, ડુંગળી અને મરચું આપ્યું હતું, રાહુલ ગાંધીએ આ ગ્રહણ કરી અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું
3.25: બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે જેની પાસે એક પણ ભેંસ નહોતું તેને 25 ભેંસ બરાબર વળતર મળ્યું છે અને જેની પાસે 5-6 ભેંસ હતી, તેને એક પણ પશુ જેટલું વળતર નથી મળ્યું. આવા ભ્રષ્ટાચારીઓની સરકાર છે આ. હું પદ કે પૈસા માટે કોંગ્રેસમાં નથી જોડાયો, મારા લોકો, ખેડૂતો, ગરીબો, બેરોજગારો માટે, તેમના હિત માટે જોડાયો છું. અંતે મારા બે ભાઇઓ હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને એટલું જ કહીશ કે આપણે યુવા ભાઇઓએ સાથે મળીને રહેવાનું છે: અલ્પેશ ઠાકોર
3.25: આ વર્ષે કોંગ્રેસની જ સરકાર બનશે અને 125થી વધુ બેઠક સાથે બનશે. આ વખતે ગુજરાતમાં રૂપિયાનું વર્ચસ્વ નહીં ફેલાય. ગરીબો, ખેડૂતોની સરકાર બનશે. અમે ઘરેથી રોટલો, ડુંગળી અને મરચું લઇને આવ્યા છીએ. પોતાનું ખાઇશું અને પોતાની સરકાર બનાવીશું: અલ્પેશ ઠાકોર
3.15: અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી આ તમામની વિચારસરણી અને આંદોલનમાં એક વાત સામાન્ય છે, એ છે ગરીબી. આ ગરીબ લોકોને ફાયદો નથી થયો. સરકાર વિકાસની વાત કરે છે, પરંતુ રાજ્યમાં કેટલાયે ગરીબો, બેરોજગારોને ત્યાં વિકાસનો જન્મ જ નથી થયો. પહેલાં એ થાય, પછી સરકારને કહો વિકાસની વાત કરે: અલ્પેશ ઠાકોર
3.10: અમે લોકોને પૂછ્યું હતું કે, રાજનીતિ કરવી છે? કારણ કે સરકારને તો ગરીબોની પડી નથી, તેઓ માત્ર અમીરોની વાત કરે છે. મેં લોકોને પૂછ્યું, જનાદેશ લીધો અને પૂછ્યું કે સરકાર આપણી વાત ન માને તો પછી શું કરવું. આખરે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લેવાયો, જેનાદેશથી. આ નિર્ણય લીધો ત્યારે રાહુલ ગાંધીનું આમંત્રણ આવ્યું. મળીને ખ્યાલ આવ્યો કે અમારી વિચારસરણી સરખી છે. આથી કોંગ્રેસમાં જોડાયો. ગરીબો, પછાત વર્ગ, બેરોજગારોના વિકાસ માટે આપણે સરકાર બનાવવી છે: અલ્પેશ ઠાકોર
3.05: અલ્પેશ ઠાકોરનું સંબોધન: છેલ્લા 7 વર્ષથી આપણે ગુજરાતના વિકાસ માટે દોડી રહ્યાં છીએ. આપણે રોજગાર, દારૂબંધી લાવવાની છે. શિક્ષણ સુધારવાનું છે, ગરીબો-ખેડૂતોનો વિકાસ કરવાનો છે. એક એવી સરકાર લાવવાની છે કે આપણે એક પણ આંદોલન ન કરવા પડે.
3.03: રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો
3.00: ભરતસિંહ સોલંકીનું સંબોધન: વડોદરામાં પીએમના રોડ શોમાં રોડ સાવ ખાલી હતો. તેમના પોકળ વચનોથી પ્રજા થાકી ગઇ છે.
2.55: રાહુલ ગાંધીનું કરાયું સ્વાગત, હજારોની સંખ્યામાં સમર્થકો હાજર. રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોર એક જ મંચ પર. આપ્યું નવું સૂત્ર, કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે.
2.49: અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજર, આ પહેલાં નિખિલ સવાણી સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હોવાનું કહેવાય છે
2.35: રાહુલ ગાંધી સભા સ્થળે જવા રવાના
1.20: તાજ હોટલ પહોંચ્યા રાહુલ ગાંધી
1.00: રાહુલ ગાંધી એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના
12.50: અમદાવાદ એરોપોર્ટ પર સ્થાનિક નેતાઓએ કર્યું રાહુલ ગાંધીનું સ્વાગત
12.30: ગાંધીનગરના રામ કથા મેદાન ખાતે રાહુલ ગાંધીના આગમન તથા નવસર્જન જનાદેશ મહાસંમેલનની સર્વ તૈયારીઓ થઇ ચૂકી છે.
#Gujarat: Visuals of preparation from Ahmedabad where Congress VP Rahul Gandhi will take part in OBC 'Navsarjan Janadesh Mahasammelan' today pic.twitter.com/LnWlmld0eL
— ANI (@ANI) October 23, 2017