રાહુલ ગાંધીના પ્રવાસનો બીજો દિવસ, જામનગરથી રાજકોટ
રાહુલ ગાંધી આજે તેમના ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં વિવિધ વેપારી સંગઠનોને મળશે. આજે તે જામનગરથી બસ દ્વારા રાજકોટ જશે. જાણો વધુ અહીં.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં ત્રણ દિવસીય યાત્રા પર છે. ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં રાહુલ ગાંધી હાલ કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. નવસર્જન યાત્રા હેઠળ નીકળેલી કોંગ્રેસના યુવરાજની આ યાત્રામાં આજે બીજા દિવસે રાહલુ ગાંધી જામનગરના રામપુર પાટિયાની તેમની યાત્રાની શરૂઆત કરશે. જેમાં તે મોરબીના ટંકારા, પિપાલિયારાજ, આમસરના દૂધ પ્લાન જેવા સ્થળોની મુલાકાત લેશે. અને સાંજે 6 વાગે રાજકોટ પહોંચશે. જ્યાં હેમ ગઢવી હોલ તે ગુજરાતના વેપારીઓને મળશે. ગુજરાતના રાહુલ ગાંધીના આ બીજા દિવસના પ્રવાસ દરમિયાન તે સવારથી સાંજ સુધી સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોના વેપારી સમુદાયો જોડે ચર્ચા અને બેઠક કરશે અને તેમના સવાલો અને મુદ્દાઓને સમજશે.
નોંધનીય છે કે આજે રામપુર ગામ ખાતે પણ પાટીદાર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે અને વેપારી સંગઠનો પણ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીની સાથે આ મુલાકાતોમાં જોડાઇ રહ્યા છે. વધુમાં સોમવારે રાહુલ ગાંધીએ તેમની મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ મોડેલ પર રાજ્ય સરકારને આકારા પ્રહારો કર્યા હતા. અને ગુજરાતની સરકારને ખાલી ઉદ્યોગપતિઓના વિકાસની સરકાર બતાવી હતી. ત્યારે આજે પણ ગુજરાત પ્રવાસની આ બીજા દિવસની મુલાકાતમાં રાહુલ ગાંધી વેપારીઓના પ્રશ્નોને વાચા આપી ગુજરાતમાં તેમના ચૂંટણી પ્રચાર ચાલુ રાખશે.