રાહુલ ગાંધી સાથેની મુલાકાત સકારાત્મક રહી: જીજ્ઞેશ મેવાણી
નવસારી ખાતે રાહુલ ગાંધી અને જીજ્ઞેશ મેવાણીની બેઠક થઇ હતી. કોંગ્રેસ સાથે જોડાવાના પ્રશ્નો ફગાવતા જીજ્ઞેશે કહ્યું હતું કે, બેઠક સકારાત્મ રહી, પરંતુ હાલ તેઓ કોઇ પક્ષમાં જોડાનાર નથી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દક્ષિણ ગુજરાતની નવસર્જન યાત્રા આખરે સફળ થઇ હોય એમ લાગી રહ્યું છે. ગુજરાત નવસર્જન યાત્રા નવસારી પહોંચી એ સમયે દલિત નેતા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જીજ્ઞેશ મેવાણી પણ નવસારીમાં હાજર હતા. આથી નવસારીના બી.આર.ફાર્મમાં બંધ બારણે જીજ્ઞેશ મેવાણી અને રાહુલ ગાંધીની બેઠક યોજાઇ હતી. અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આ બેઠકમાં હજાર હતા. લગભગ અડધો કલાક ચાલેલ આ બેઠક બાદ જીજ્ઞેશ મેવાણી પણ રાહુલ ગાંધી સાથે નવસર્જન યાત્રામાં જોડાયા હતા. આ બેઠક બાદ જ્યારે જીજ્ઞેશ મેવાણી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, આ બેઠક સકારાત્મક રહી છે. તેમની તમામ માંગણીઓ હાલ તો કોંગ્રેસે સ્વીકારી લીધી છે. આ પછી વધુ એક બેઠક કરવામાં આવશે.
જીજ્ઞેશ મેવાણીએ 17 મુદ્દાઓ સાથે પોતાની માંગણીઓનું લિસ્ટ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કર્યું હતું. આ અંગે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, રાહુલજી અનુસાર અમારી 90 ટકા માંગણીઓ એ અમારા બંધારણીય અધિકાર છે, જેનો સમાવેશ મેનિફેસ્ટોમાં કરવામાં આવશે. તેઓ કોંગ્રેસ સાથે જોડાશે કે કેમ એવો પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે, વધુ એક બેઠક બાકી છે અને હાલ હું કોઇપણ રાજકીય પક્ષ સાથે નથી. તો બીજી બાજુ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ તોડવાનું કામ કરે છે, કોંગ્રેસ જોડવાનું કામ કરે છે. જીજ્ઞેશ મેવાણી હોય કે અલ્પેશ ઠાકોર હોય, અમે સૌને સાથે લઇને આગળ વધીશું. અમારી સરકાર આવશે, તો સમાજના દરેક વર્ગનો વિચાર થશે. જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના સકારાત્મક વલણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે અમારી માંગણીઓ સાંભળી તો ખરી, ભાજપ તો ક્યારેય વાત કરવા જ તૈયાર નહોતું. તેમણે કહ્યું હતું કે, જનવિરોધી ભાજપને હરાવવા માટે મારે જે કંઇ કરવું પડે એ બધું કરીશ.