રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ નહીં દર્શાવવા ચૂંટણી પંચનો આદેશ
રાહુલ ગાંધીનો વધુ એક ઇન્ટરવ્યુ પીએમ મોદીની ભાષા પર કર્યો સવાલ આ અંગે વધુ વાંચો અહીં...
ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે, ચૂંટણી પ્રચારો થંભી ગયા છે પરંતુ રાજકીય પક્ષો વચ્ચેની રસાકસી ચાલુ છે. બુધવારે FICCIમાં ઉદ્યોગપતિઓનું સંબોધન કરતાં પીએમ મોદીએ યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂઝ 18ને આપેલ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ગુજરાતના લોકો હવે પરિવર્તન માટે આતુર છે અને ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ વિજયી થશે. તેમણે મનમોહન સિંહ પર પીએમ મોદીએ હાલમાં જ મૂકેલા આરોપો અંગે કહ્યું કે, મનમોહન સિંહે પોતાની આખી જિંદગી દેશની સેવા કરી છે, મોદીજીએ તેમના માટે જે ભાષાનો ઉપયોગ કર્યો, એ સ્વીકાર્ય નથી. આ રીતના આરોપો માટે મોદીજીએ માફી માંગવી જોઇએ.
મણિશંકર ઐયર પર કાર્યવાહી
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ અને ભાજપ નેતાઓ વ્યક્તિગત હુમલાઓ કરs છે, પરંતુ તેઓ કોઇની પર વ્યક્તિગત હુમલો નહીં કરે. તેમણે કહ્યું કે, એ લોકો જે ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે, એનાથી ખરાબ તો લાગે છે, પરંતુ અમે એવું નહીં કરી શકીએ. મણિશંકર ઐયરને પણ અમે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેઓ પીએમ વિરુદ્ધ આવુ કંઇ ના બોલે.
રાહુલનો બીજો ઇન્ટરવ્યુ
વિધાનસભાની ચૂંટણીના અંતિમ મતદાનના એક દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક ટીવી ચેનલ ઇન્ટરવ્યુ આપ્યા છે. ન્યૂઝ18 પહેલાં ગુજરાતી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં તેમણે કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણીના આ વખતના પરિણામો ચોંકાવનારા હશે, જે જોઇને ભાજપ પોતે પણ ચોંકી ઉઠશે. પીએમ મોદી ગુજરાત ચૂંટણીના પરિણામો અંગે વિચારીને ડરી રહ્યાં છે. રાહુલ ગાંધીના આ ઇન્ટરવ્યુ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપે આને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વાને કહ્યું કે, ફરિયાદ મળતાં અમે રાહુલના ઇન્ટરવ્યુની ડીવીડી જોઇ રહ્યાં છીએ, જેથી ખબર પડે કે ઇન્ટરવ્યુથી નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ! ચૂંટણી પંચે આ મામલે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે તથા ચેનલોને આ ઇન્ટરવ્યુ નહીં દર્શાવવાનો પણ આદેશ આપ્યો છે. હવે રાહુલ ગાંધીના આ ઈન્ટરવ્યૂ દર્શાવનાર ચેનલો સામે ફરિયાદ કરવા આદેશ આપવામાં આવ્યો છે.