વિધાનસભા ચૂંટણીઃ 1 નવેમ્બરથી રાહુલ ગાંધીના દ.ગુજરાતમાં ધામા
ગુજરાત વિધાનસભાને ઘ્યાનમાં રાખીને રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તોએ દક્ષિણ ગુજરાતની 3 દિવસની મુલાકાત લેશે. આ અંગે વધુ વાંચો અહીં.
ચૂંટણી નજીક છે ત્યારે તેના ઝંઝાવાતી પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાય સમયથી અવાર-નવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફરી એક વાર 1 નવેમ્બરથી રાહુલ ગાંધી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે અને તેમાં તેઓ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે. રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતની યાત્રાઓ સફળ રહી હતી અને આ દરમિયાનમાં પાટીદારો સાથેની તેમની મુલાકાતો તથા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાણને કારણે રાજ્યમાં કોંગ્રસ પક્ષમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હતા. આથી આગામી ચૂંટણી પહેલાની રાહુલ ગાંધીની આ મુલાકાત પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વળી, સોમવાર સાંજ સુધીમાં હાર્દિક પટેલ કોંગ્રેસને સમર્થન આપવું કે કેમ એ અંગે જાહેરાત કરે એવી પણ શક્યતા છે. આથી પણ આ મુલાકાત મહત્વપૂર્ણ છે.

રાહુલ ગાંધીના પ્રવાસનું પ્રાથમિક આયોજન આ પ્રમાણે છે. રાહુલ ગાંધી નવસર્જના યાત્રા અંતર્ગત પોતાની મુલાકાતને પ્રથમ દિવસે એટલે કે, 1લી નવેમ્બરે જંબુસર, આમોદ, દયાદરા, ભરૂચ, અંકલેશ્વર, ઝંખવાવ, માંડવી અને વ્યારાની મુલાકાત લેશે. બીજા દિવસે 2 નવેમ્બરના રોજ તેઓ ડોલવણ, ઉનાઈ, વાંસદા, નાના પાંડા જશે, નાના પાંડામાં તેઓ સભા સંબોધન કરશે અને વાપીમાં રાત્રિ રોકાણ કરશે. તો મુલાકાતના ત્રીજા દિવસે રાહુલ ગાંધી આદિવાસી પંથક વલસાડ, બિલિમોરા, ગણદેવી જશે. નવસારીમાં તેઓ સભા સંબોધશે, ત્યાર બાદ સુરત પરત આવીને સુરતમાં પણ જનસભાનું સંબોધન કરશે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી આ પહેલાં સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા કરી ચૂક્યા છે અને ત્યાર બાદ તેમણે અમદાવાદથી મધ્ય ગુજરાતમાં નવસર્જન યાત્રા કરી હતી. હવે આ ત્રીજી નવસર્જન યાત્રામાં તેઓ જંબુસરથી સુરત જશે.












Click it and Unblock the Notifications
