રાજ્યના 53 તાલુકામાં વરસાદ, વલસાડમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર ભરાયા પાણી
રાજ્યમાં ચોમાસાનુ આગમન થઈ ગયા બાદ વરસાદ ખેંચાઈ ગયો હતો પરંતુ હવે રાજ્યના અમુક ભાગોમાં ચોમાસુ ફરીથી સક્રિય થઈ ગયુ છે. જાણો ક્યાં પડ્યો વરસાદ.
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનુ આગમન થઈ ગયા બાદ વરસાદ ખેંચાઈ ગયો હતો પરંતુ હવે રાજ્યના અમુક ભાગોમાં ચોમાસુ ફરીથી સક્રિય થઈ ગયુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 53 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જામગનર શહેરમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી ચાલુ સિઝનનો સરેરાશ 21.69 ટકા વરસાદ નોંધાયો છે.
વલસાડમાં ઠેર-ઠેર ભરાયા પાણી
વલસાડમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જવાના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. આજે સવારે પણ 2 કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દમણમાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઈંચ વરસાદ પડ્યો છે.
નવસારીમાં ખાબક્યો 2.5 ઈંચ વરસાદ
નવસારીમાં સૌથી વધુ વરસાદ ગણદેવીમાં ખાબક્યો હતો. ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં પણ વધારો થયો હતો. ખાડીમાં પાણીની જળસ્તર વધી જતા લો લાઈન બ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગણદેવી અને બીલીમોરાને જોડતા આ બ્રીજ પર પાણી ફરી વળતા બીજી બાજુ રહેતા લોકોનો ગણદેવીથી સંપર્ક તૂટી ગયો હતો. નવસારીમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વળી, ચીખલીમાં સાડા ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ખેડૂતોના પાકને નવજીવન મળ્યુ
તમને જણાવી દઈએ કે મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા પાકને નુકશાન ન થાય તે માટે કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યુ હતુ અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. કડાણા ડેમમાંથી 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં ડાંગરની ખેતી વધુ થાય છે જેમાં વધુ પાણીની જરૂર પડતી હોય છે અને વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. આ ઉપરાંત રાજકોટમાં પણ પીવાનુ પાણી પૂરિ પાડતા ન્યારી ડેમમાં સરકારની સૌની યોજના અંતર્ગત નર્મદા નદીનુ 300 ક્યુસેક પાણી 20 જુલાઈથી છોડવામાં આવશે જેથી રાજકોટ શહેરમાં પીવાના પાણીની મુશ્કેલીમાં રાહત મળશે.