Rajkot Fire : રાજકોટ આગ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ, સુઓમોટો લઈને માનવસર્જિત આપત્તિ ગણાવી
Rajkot Fire : રાજકોટની ખૌફનાક ટીઆરપી ગેમિંગ ઝોન આગની ઘટનામાં 33 લોકોના જીવ ગયા છે. હવે આ મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો લીધો છે.
રાજકોટમાં TRP ગેમિંગ ઝોન આગની ઘટનામાં 33 લોકોના મોત થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને રાજકોટની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં હાઈકોર્ટે મહાનગરપાલિકા પાસે ફાયર સેફ્ટી અંગે જવાબ માંગ્યો છે.

આ મુદ્દે હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચ સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત આપત્તિ છે. અમદાવાદમાં સિંધુબહેન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે.
કોર્ટને એ પણ જાણવા મળ્યું કે ગેમિંગ ઝોનના બાંધકામ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યુ નથી. હાઈકોર્ટે સમગ્ર મામલે સુઓમોટો સંજ્ઞાન લીધુ અને પોતે જ અરજી દાખલ કરી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના કોર્પોરેશનો પાસેથી સ્પષ્ટતા માંગી છે.
કોર્ટે કહ્યું કે, કોર્પોરેશને એ સમજાવવું પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ તેને આ ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે એક દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. આ કેસમાં આગામી સુનાવણી સોમવારે થશે.
TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે લગભગ પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. લાકડાના ફર્નિચરની વિશાળ માત્રા ઉપરાંત, ગેમિંગ ઝોનની અંદર લાકડાની અન્ય સામગ્રી અને ટાયર પણ હતા. આખો ગેમ ઝોન ઈંટ કોંક્રીટને બદલે ટીન શીટ અને સ્ટ્રક્ચર ટિમ્બરથી બનાવવામાં આવ્યો હતો.
આ જ કારણ છે કે આગ સતત વધી રહી હતી અને આગને કારણે સમગ્ર ગેમિંગ ઝોન બળીને ખાખ થઈ ગયુ. લગભગ ત્રણ કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
