નરહરિની લલકાર : કોંગ્રેસને વિજયી બનાવવા મદદ નહીં કરીએ
અપડેટ : 3.30 PM
નરહરિ અમીન : કોંગ્રેસ સામે આર-પારના મૂડમાં
કોંગ્રેસના અગ્રણી આગેવાન નરહરિ અમીનને વિધાનસભાની ચૂંટણી માટે ટિકીટ ફાળવણી નહીં કરતા તેઓ પક્ષથી નારાજ છે. તેમણે પોતાની નારાજગી પોતાના અમદાવાદ સ્થિત ફાર્મ હાઉસ અમી ફાર્મ ખાતે કોંગ્રેસના અસંતુષ્ટોની બેઠક બોલાવીને પ્રદર્શિત કરી છે. તેમણે જણાવ્યું છે કે મીટિંગમાં કાર્યકરો અને આગેવાનોની રજૂઆત બાદ તેઓ આગળ શું કરવું તેની રણનીતિ ઘડશે.
પાછલા સપ્તાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કા માટેની બેઠકોના ઉમેદવારોના નામની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ જોવા મળી છે. વર્ષો જૂના કોંગ્રેસી કાર્યકરોએ ભાજપમાં જોડાવાનું શરૂ કર્યું છે. બીજી તરફ નરહરિ અમીને એડી ચોટીનું જોર લગાવ્યા છતાં ટિકીટ નહીં મળતા બળવો પોકાર્યો છે. તેમણે અસંતુષ્ટોની બેઠક બોલાવી છે.
આ બેઠકમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત. આ બેઠકમાં સુરેન્દ્ર બક્ષી અને હિંમતસિંહ પટેલ પણ હાજર રહ્યા છે. આ ઉપરાંત બદરૂદ્દીન શેખ, પંકજ શાહ, નરેશ રાવલ વગેરે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ઉપરાંત 500થી વધારે સમર્થકો ઉપસ્થિત રહ્યા છે.
આ પ્રસંગે નરહરિ અમીને કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે "તાજેતરમાં પ્રદેશ અને દિલ્હી કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની બેઠકો માટે જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા તેમાં ગમતા, નહીં ગમતાનો સમાવેશ કરાયો. પણ મોવડી મંડળે કોંગ્રેસ માટે વર્ષોથી કામ કરનારાઓને બાકાત રાખવામાં આવ્યા. જેમને ટિકીટ નથી આપવામાં આવી તેમાં 25થી 30 વર્ષથી કોંગ્રેસ પક્ષ માટેનું કામ કરનારાઓનો સમાવેશ થાય છે."
તેમણે જણાવ્યું કે "મારા પર અનેક કાર્યકરોના ફોન આવ્યા. તેમણે અસંતોષ થયો હોવાનું જણાવ્યું છે. તેમના આગ્રહથી જ અમી ફાર્મ ખાતે ગુજરાત ભરના કોંગ્રેસ અસંતુષ્ટ કાર્યકરોને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસમાંથી રાજજનામા આપવા ઇચ્છનારાઓ માટે ખાસ ટેબલ્સ પણ ગોઠવવામાં આવ્યા છે. તેમને સૂચના આપવાનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યું છે. જેના આધારે આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવામાં આવશે."
આવનારા દિવસોમાં અમે સાથે મળીને શું કાર્યક્રમ ઘડવો તેનો નિર્ણય અસંતુષ્ટો સાથે મળીને લેવાના છે ત્યારે કોંગ્રેસ માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચઢાણ વધારે કપરાં લાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નરહરિ અમીનને ભાજપે પક્ષમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. જો કે તેમણે વચલો માર્ગ કાઢવા માટે હજી સુધી ભાજપની ઓફર સ્વીકારી નથી.