વાઇબ્રન્ટ ગુજરાતઃ એસ્સાર-રિલાયન્સ કરશે હજારો કરોડનું રોકાણ
રિલાયન્સ 3 વર્ષમાં ગુજરાતમાં 1000 કરોડનું રોકાણ કરશે : મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સની અન્ય કંપનીઓએ નરોડામાં કામ કર્યું છે. રિલાયન્સને ગુજરાતી રોકાણકારોનો વિશ્વાસ પ્રાપ્ત છે. અમે ગુજરાતથી શરૂઆત કરી હતી, અહીંથી શીખ્યા હતા. અમે અહીં અવારનાવાર કામ કરવા માંગીએ છીએ અને વર્લ્ડક્લાસ બિઝનેસ સ્થાપવા માંગીએ છીએ. અમે 1000 કરોડનું રોકાણ આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કરીશું એનું વચન આપીએ છીએ. અમે હજીરામાં રોકાણ કરીશું અને મોબાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપીશું. જે લાખો રોજગારી ગુજરાતને આપશે. તેમાં ઇનોવેશન, સ્કીલ બિલ્ડીંગ અને એજ્યુકેશનમાં નવી તકો ઉભી કરશે. મને આનંદ છે કે અમે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરીશું. અમે નરેન્દ્રભાઇ મોદીના સપના કે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ સંસ્થા બને તે સાકાર કરીશું. PDPUમાં 100 કરોડનું રોકાણ કર્યું છે. PDPUમાં આવનારા 5 વર્ષમાં ગુજરાત સાથે ભાગીદારી કરી 500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને તેને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનાવાશે. અહીં સાયન્ટિફિક રિસર્ચ કરાશે. ગુજરાતમાંથી નોબલ લોરિયેટ્સ તૈયાર કરાશે.
એસ્સાર ગુજરાતમાં 40,000 કરોડનું રોકાણ કરશે : શશી રૂઇયા
એસ્સાર ગ્રુપના ચેરમેન શશી રૂઇયાએ કહ્યું કે, મોદીજીને ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે શુભેચ્છા પાઠવું છું. આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા આગળ છે તે નરેન્દ્ર મોદીનું વિઝન છે. ભારતના આર્થિક ઇતિહાસમાં આ વિશેષ સિધ્ધિ છે. અમે ગુજરાતમાં 88,000 કરોડ દરિયા, રિફાઇનરી, પોર્ટ ડેવલપમેન્ટ અને પાવરના ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. આજે એસ્સાર ગુજરાતની રિફાઇનિંગ કેપેસિટીના 20 ટકા, 30 ટકા પાવર કેપેસિટી અને 40 ટકા પોર્ટ કેપેસિટી ધરાવે છે. મોદીજીને કારણે પરફેક્શન આવ્યું છે. અમે 40,000 કરોડ પોર્ટમાં રોકાણ કરવા ઇચ્છીએ છીએ. જેમાંથી 10,000 હજીરા અને સલાયામાં કરીશું. 4000 કરોડ વોટર ક્ષેત્રે રોકવા માંગીએ છીએ.
નોંધનીય છે કે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંગ્રેજી ભાષામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "આ પ્રસંગ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિના અવસરે આવ્યો છે. એક સમયે ગુજરાત ભારતનું વિશ્વ સાથે વેપારનું વડુંમથક હતું. એક સમયે ગુજરાતના લોકોએ સમગ્ર વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું. અમે હવે એવું ગુજરાત બનાવીશું કે સમગ્ર વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા અને અમારા ભાગીદાર સૌનો હું આભાર માનું છું." તેમણે જણાવ્યું હતું કે યુવાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાત નીતિ ઘડી રહ્યું છે જેથી આવનારા સામયમાં ગુજરાત વિશ્વ માટે દિશાદર્શક બની રહેશે.