ભારે વરસાદથી બિસ્માર બનેલા વલસાડના 33 રસ્તાની મરામત કરાઈ!
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. જેમાં લોકોને રાહત માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુરૂવારે વરસતા વરસાદમાં પણ વલસાડના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા તાકીદના ધોરણે હાથ ધરાયેલી મરામત કામગીરીને પગલે રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.

ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં કુલ 38.05 કિમીના 33 રસ્તાને નુકશાન થયું છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વલસાડ વહિવટીતંત્ર દ્વારા અગાઉ જ્યારે પૂર આવ્યુ ત્યારથી જ રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ-રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી. છેલ્લા 2 દિવસ દરમિયાન ફરી ભારે વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા. જેથી ગુરૂવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે મરામત કામગીરી શરૂ કરાવી હતી. જેને કારણે હાલમાં વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા અને બિસ્માર માર્ગ પરથી હાલક-ડોલકભરી સ્થિતિમાં પસાર થવાની મુસીબતમાંથી મુક્તિ મળી છે.
વલસાડ માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ)ના જિલ્લામાં 38.05 કિમીના 33 રસ્તાની મરામત કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં 2 ગ્રેડર, 4 જેસીબી, 4 ટ્રેક્ટર અને 30 મજૂર દ્વારા વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત રસ્તાની કામગીરી ચાલુ છે. ખાસ કરીને જે રસ્તા પર સતત લોકોની અવર જવર વધુ હોય ત્યાં ટીમને તૈનાત કરી સતત કામગીરી ચાલુ રાખી છે. જેથી લોકોને રાહત મળી શકે. અત્યાર સુધીમાં 33 માંથી 23 રસ્તા રસ્તા પર મેટલ પેચની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે 10 રસ્તાની કામગીરી પ્રગતિમાં છે.












Click it and Unblock the Notifications
