મોહન ભાગવતે કહ્યું- 'દેશના સારા-નરસા માટે હિન્દુ જવાબદાર'
અમદાવાદ, 4 ડિસેમ્બર: હાલમાં અમદાવાદમાં આરએસએસની ચિંતન શિબિર ચાલી રહી છે. આ ચિંતન શિબિરમાં મોહન ભાગવતે સ્વયમસેવકોને સંબોધિત કર્યા હતા. ભાગવતે ફરી એકવાર જણવ્યું હતું કે ભારત દુનિયાને શીખ આપતું રહ્યું છે. ભારત દુનિયાનો મોટો ભાઇ છે. દેશને રૂઢિવાદમાંથી મુક્ત કરવાનું છે. સૌએ દેશને પોતાનો ગણવો પડશે. કટ્ટરતાના કારણે જ આતંકવાદને પ્રોત્સાહન મળ્યું છે.
ભાગવતે જણાવ્યું કે આરએસએસ સંસ્કાર આપનાર સંગઠન છે. કાર્યકર્તા હિન્દુ સમાજને સંગઠિત કરે. મતભેદોને દૂર કરીને દેશ સેવા કરે. આ દેશ પરંપરાઓથી હિન્દુ દેશ છે. દેશના સારા-નરસા માટે હિન્દુ જવાબદાર છે. હિન્દુ સમાજ ખતરામાં તો દેશ ખતરામાં છે. જો આપણે તૈયાર રહીશું તો કોઇ આપણને રોકી નહીં શકે. સૌને સ્વીકાર કરો, સૌને સાથે લઇને ચલો.
ભાગવતે જણાવ્યું કે સંઘને જાણવા માટે તેમાં સામેલ થવું જરૂરી છે. અંદર આવો અને જો આપને સંઘ સારું લાગે તો સ્વયંસેવક બનો, અને જો સારુ ના લાગે તો કાર્યકર્તા ના બનો. અત્રે નોંધનીય છે કે અમદાવાદના રિંગ રોડ પર આવેલા દાસ્તાન ફોરમમાં આરએસએસની ચિંતન શિબિર હતી. જેમાં મોટી સંખ્યામાં આરએસએસના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.