ગુજરાતમાં RTE: બે વર્ષમાં 20 ટકા ગરીબ બાળકો શાળાપ્રવેશથી વંચિત TOP NEWS
ગુજરાતમાં RTE: બે વર્ષમાં 20 ટકા ગરીબ બાળકો શાળાપ્રવેશથી વંચિત TOP NEWS
'ટ્રિબ્યુનઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારે શનિવારે રાજ્ય વિધાનસભા ગૃહમાં કબૂલ્યું કે પાછલાં બે વર્ષમાં રાજ્યમાં ગરીબ બાળકો પૈકી કુલ 20 ટકા બાળકો શિક્ષણના અધિકાર (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ઍડમિશન મેળવવાથી વંચિત રહી ગયાં છે.
નોંધનીય છે કે આગામી શૈક્ષણિક વર્ષ માટે દેશનાં ઘણાં રાજ્યોમાં ગરીબ બાળકો શિક્ષણના અધિકારનો ઉપયોગ કરીને ખાનગી શાળાઓમાં ઍડમિશન લેવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પરંતુ બીજી બાજુ ગુજરાતમાં RTE ક્વૉટા અંગેની આ માહિતીએ ઘણા પ્રશ્ન ઊભા કરી દીધા છે.
કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે ગૃહમાં માહિતી આપી હતી કે વર્ષ 2019 અને 2020 દરમિયાન રાજ્યમાં કુલ 1,94,783 ગરીબ બાળકો ખાનગી શાળાઓમાં ઍડમિશન મેળવવાપાત્ર હતાં. તેમ છતાં આ વર્ષો દરમિયાન 40,530 ગરીબ બાળકો ખાનગી શાળાઓમાં ઍડમિશન મેળવવાથી વંચિત રહી ગયાં હતાં.
- ગુજરાતનાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની હાલત આવી કેમ છે?
- મોઝામ્બિક : 'મારી આંખ સામે મારા પુત્રનું માથું કાપી દીધું'
- ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણી અને સી. આર. પાટીલે શું કહ્યું?
ગુજરાતમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા, સૌથી સુરતમાં
https://twitter.com/GujHFWDept/status/1373280157113274369
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર શનિવારે રાજ્યમાં કોરોના વાઇરસના 1,565 નવા કેસ નોંધાયા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં કોરોનાની માંદગીને કારણે છ લોકો મૃત્યુ પામ્યા હતા.
રાજ્યમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ ફરી એક વાર સુરત જિલ્લામાં જ જોવા મળ્યા હતા.
પાછલા 24 કલાકમાં સુરત કૉર્પોરેશન અને સુરત જિલ્લામાં કુલ્લ 484 કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 406 કેસ જોવા મળ્યા હતા.
જે પૈકી 401 કેસ અમદાવાદ કૉર્પોરેશન અને પાંચ કેસ અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યા હતા.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ વિગતો અનુસાર શનિવારે સમગ્ર રાજ્યમાં 6,737 ઍક્ટિવ કેસ હતા. જે પૈકી 69 દર્દીઓ વૅન્ટિલેટર પર હતા.
ઉપરાંત ગત 24 કલાકમાં તુસ 969 કોરોના વાઇરસના દર્દીઓ આ માંદગીમાંથી બેઠા થયા હતા.
રાજ્યમાં રસીકરણ કાર્યક્રમની વાત કરીએ તો અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 28,36,204 લોકોને વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.
જ્યારે 5,92,712 લોકોને વૅક્સિનનો બીજો ડોઝ અપાયો છે.
ઇશરત જહાં કેસ : ગુજરાત સરકારે ત્રણ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી ન આપી
https://www.youtube.com/watch?v=V4YiFXNIO0E&t=105s
'ધ વાયર'ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારે ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં ત્રણ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ મુકદમો ચલાવવાની પરવાનગી આપી નથી. આ અંગે સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શનિવારે કોર્ટને માહિતી આપી હતી.
નોંધનીય છે કે CBIએ સ્પેશિયલ જજ વી. આર. રાવળના નિર્દેશાનુસાર ગુજરાત સરકાર પાસેથી આ કામના આરોપી પોલીસ અધિકારી IPS ઑફિસર સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરી સામે કેસ ચલાવવાની પરવાનગી માગી હતી.
ક્રિમિનલ પ્રોસિજર કૉડની કલમ 197 મુજબ કોઈ પણ સરકારી અધિકારીએ પોતાની ફરજના ભાગરૂપે કરેલ કોઈ પણ કાર્ય માટે તેમના પર કેસ ચલાવવા માટે સરકારની મંજૂરીની આવશ્યકતા હોય છે.
અહેવાલ મુજબ સ્પેશિયલ પ્રોસિક્યૂટર આર. સી. કોડેકરે કહ્યું હતું કે, "ગુજરાત સરકારે ત્રણ આરોપીઓ સામે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ બાબતની જાણ કરતો પત્ર અમે કોર્ટ સમક્ષ મુક્યો છે."
ગુજરાતમાં કોરોનાના રસીકરણ માટે રવિવારે ડ્ર્રાઇવ : ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક અહેવાલ અનુસાર રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે શનિવારે વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી કે રાજ્યમાં કોરોના સામે રક્ષણ આપતી રસીના લાભાર્થીઓની સંખ્યા વધે તે હેતુસર રવિવારે વૅક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવશે.
તેમણે પોતાના આ નિવેદન દરમિયાન આગળ જણાવ્યું હતું કે, "હાલ સમગ્ર રાજ્યમાં ફેલાયેલાં કુલ 2,500 રસીકરણ કેન્દ્રો પર બુધવાર અને રવિવાર સિવાય દરરોજ અઢી લાખ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવે છે."
રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ આ બાબતે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "વધુમાં વધુ લાભાર્થીઓને રસી મૂકી શકાય તે હેતુસર અમે આ રવિવારે (21 માર્ચ)ના રોજ વૅક્સિનેશન ડ્રાઇવ ચાલુ રાખીશું."
તેમણે તમામ ધારાસભ્યોને પણ શક્ય તેટલું જલદી કોરોનાની રસી લેવા માટેની વિનંતી કરી હતી.
યુએસના સંરક્ષણસચિવે ભારત સાથેની ચર્ચામાં લઘુમતીઓનો મુદ્દો ઉઠાવ્યો
https://www.youtube.com/watch?v=LXmVX_SXJG8
અમેરિકાના સંરક્ષણસચિવે કહ્યું, "ભારત સાથેની ચર્ચા વખતે દેશની લઘુમતી પ્રજાના માનવાધિકારો મામલે વાતચીત થઈ"
અમેરિકાના સંરક્ષણસચિવ લૉયડ ઑસ્ટિને નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે યોજાયેલી એક પત્રકારપરિષદમાં માહિતી આપી હતી કે તેમણે ભારતની કૅબિનેટના સભ્યો સાથેની ચર્ચામાં ભારતમાં લઘુમતી કોમના લોકોના માનવાધિકારોને લગતા મુદ્દા ઉઠાવ્યા હતા.
જોકે, સામે પક્ષે ભારતના પ્રશાસનિક અધિકારીઓએ આ અંગે કોઈ પણ ચર્ચા ન થઈ હોવાની વાત કરી હતી.
નોંધનીય છે કે લૉયડ ઑસ્ટિન અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના ઍડમિનિસ્ટ્રેશનના પ્રથમ એવા સિનિયર સભ્ય છે જેમણે ભારતની મુલાકાત લીધી છે. 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે ઑસ્ટિન આ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર વિરાજમાન થનારા પ્રથમ આફ્રિકન અમેરિકન છે.
ભારત સરકારના અધિકારીઓએ અમેરિકાના સંરક્ષણસચિવ ઑસ્ટિન અને ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ વચ્ચેની વાતચીત તેમજ વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીતમાં ભારતના લઘુમતી કોમના લોકોના અધિકારો બાબતે કોઈ ચોક્કસ ચર્ચા થઈ નહોતી.
ભારતીય અધિકારીઓના મતે બંને દેશોની સંયુક્ત તાકાત તરીકે માનવાધિકારો અને મૂલ્યો અંગે ચર્ચા થઈ હતી.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો