સાબરમતી સુરંગકાંડ : જેલ સુપરિટેન્ડેન્ટ સામે ચાર્જશીટ દાખલ
સાબરમતી જેલમાં કેદ અમદાવાદ બ્લાસ્ટના તેમજ ઈન્ડિયન મુજાહિદ્દીનનાં કેટલાંક ખૂંખાર આતંકવાદીઓ દ્વારા સાબરમતી જેલમાંથી ભાગવા માટે સુરંગ ખોદવામાં આવી હતી જેની જાણ જેલ તંત્રને થતાં જેલથી માંડી સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ ધટનાની ગંભીરતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શહેર ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી હતી.
શહેર ક્રાઈમબ્રાંચે તપાસનો દોર શરૂ કરતાં સુરંગ ખોદનારા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. બીજીબાજુ આટલી મોટી સુરંગ ખોદાઈ ગઈ ત્યાં સુધી જેલ તંત્રને કેમ જાણ ના થઈ તેમજ જેલ સત્તાધીશોની ભૂમિકા અંગે પણ ક્રાઈમબ્રાંચે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં જેલ સુપરિટેન્ડેન્ટ આર.જે.પારધી, વણકર તથા પરમારે ગંભીર બેદરકારી દાખવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું તેમજ તેઓએ સુરંગને એક મોટા પથ્થરથી બંધ કરી તેમજ ઉચ્ચ અધિકારીઓને મોડેથી જાણ કરી હોવાની બાબતો તપાસમાં જણાઈ આવી હતી.
દરમિયાનમાં ગઈકાલ રાત્રે શહેરક્રાઈમ બ્રાંચે જેલ સુપરિટેન્ડેન્ટ આર.જે.પારધી, વણકર, પરમાર તથા સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલાં આરોપી ધનશ્યામસિંહ વાધેલા તેમજ અન્ય પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. બીજીબાજુ પોલીસબેડામાં પારધી સહિતના અધિકારીઓની વહેલીતકે ધરપકડ થાય તેવી ચર્ચાએ જોર પકકડયું છે. જોકે શહેરક્રાઈમ બ્રાંચ તમામ આરોપીઓ સામે પહેલાં પુરાવા એકત્રિત કરશે અને ત્યારબાદ જ પૂછપરછ કરી ધરપકડનો દોર શરૂ કરશે.