સાદિક જમાલ એન્કાઉન્ટર કેસ : CBI દ્વારા સંધૂની પૂછપરછ
અમદાવાદ, 10 નવેમ્બર : વર્ષ 2003માં ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે કરેલા સાદિક જમાલના એન્કાઉન્ટર મુદ્દે વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને પૂર્વ આઇબી પ્રમુખ એન નિશ્ચલ સંધૂની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરાઈ છે. એક સ્થાનિક અખબારના અહેવાલો પ્રમાણે ગત સપ્તાહે તેમની પૂછપરછ કરાઈ હતી. સીબીઆઈએ તેમને પૂછ્યું કે શા માટે જમાલને મુંબઈથી ગુજરાત લાવવામાં આવ્યો?
ઉલ્લેખનીય છે કે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે 2003માં સાદિક જમાલનું એન્કાઉન્ટર કર્યું હતું. તે સમયે આઇબીમાં સંયુક્ત નિર્દેશક રહી ચૂકેલા નિશ્ચલ સંધૂને શું માહિતી મળી હતી તે વિશે સીબીઆઈએ તેમની પૂછપરછ કરી છે. તે સમયે મળેલી માહિતી પ્રમાણે સાદિક આતંકવાદી હતો અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરામાં સામેલ હતો. આઇબીની મળેલી ગુપ્ત મહિતી પ્રમાણે જમાલ મોદી સહિત અન્ય કેટલાક ભાજપ અને વીએચપીના નેતાઓની હત્યાના કરવાના મિશન પર હતો. સંધૂ તે સમયે આઇબીમાં સંયુક્ત નિર્દેશકના પદે હતા.

સીબીઆઈ ગુજરાત હાઇકોર્ટના આદેશોને આધારે આ કેસની તપાસ કરી રહી છે. આ પૂર્વે સીબીઆઈએ પોતાની પ્રથમ ચાર્જશીટમાં ગુજરાત પોલીસની સાથે સાથે મુંબઈ પોલીસ પોલીસને પણ જમાલની ધરપકડ અને તેની મોત માટે જવાબદાર ઠેરવી હતી. સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે જમાલ 10 દિવસ સુધી મુંબઈ પોલીસની કસ્ટડીમાં હતો, ત્યાર બાદ તેને ગુજરાત પોલીસને હવાલે કરાયો હતો. ત્યાર બાદ 13 જાન્યુઆરી, 2003માં જમાલનું એન્કાઉન્ટર કરાયું હતું.












Click it and Unblock the Notifications
