સરદાર પટેલની ખેડાની જમીન બારોબાર વેચનારાઓનું કૌભાંડ કેવી રીતે પકડાયુ? આરોપીઓને કોર્ટે સંભળાવી ભયંકર સજા
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે નોંધાયેલી જમીનને નકલી દસ્તાવેજો દ્વારા વેચી દેવાના ચોંકાવનારા કેસમાં મહેમદાવાદ એડિશનલ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામમાં બની હતી, જ્યાં આરોપીઓએ ખોટી રીતે સરદાર પટેલનું નામ ધારણ કરીને જમીનના વેચાણનો કારસો રચ્યો હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 2004માં જમીનના રેકોર્ડ કમ્પ્યુટરાઈઝ થયા અને 2009માં જૂની શરતની જમીનની સ્થિતિમાં ફેરફાર થયો. આ તકનો લાભ લઈને આરોપીઓએ નકલી સાક્ષીઓ ઉભા કરીને 2010માં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જમીનનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરાવ્યો હતો.
ત્યારબાદ આરોપી ભૂપેન્દ્રભાઈ ડાભીએ રેવન્યુ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવવા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. ખાસ વાત એ છે કે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી, છતાં ફેરફાર નોંધાઈ ગયો અને તેમનું નામ રેકોર્ડમાંથી દૂર કરી દેવાયું.

આ ગેરરીતિની જાણ તત્કાલીન નાયબ મામલતદાર બી.એન. શર્માને થતાં તેમણે 2012માં મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં 20 મૌખિક અને 69 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા.
સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા સાથે દરેકને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. નોંધનીય છે કે આ કેસમાં એક આરોપી હિરાભાઈ કલાભાઈ ડાભીનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું.
આ ચુકાદાથી સરદાર પટેલ જેવા મહાન નેતાના નામનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર કૃત્યો કરનારાઓને સખત સંદેશ મળ્યો છે. આ ઘટનાએ જમીન સંબંધિત છેતરપિંડીના મામલાઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો છે.












Click it and Unblock the Notifications
