સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 9નુ ઓફલાઈન શિક્ષણ શરુ, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
સોમવારે 7 ફેબ્રુઆરીથી ઓફ લાઈન શિક્ષણ શરુ કરવાનો નિર્ણય કરવાાં આવ્યો છે.
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર ગ્રુપની બેઠક બોલાવી હતી જેમાં સોમવારે 7 ફેબ્રુઆરીથી ઓફ લાઈન શિક્ષણ શરુ કરવાનો નિર્ણય કરવાાં આવ્યો છે. સોમવારથી ધોરણ 1થી 9નુ ઓફલાઈન શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવશે તેવી માહિતી શિક્ષણમંત્રીએ ટ્વિટ દ્વારા આપી હતી.
રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ના થાય તે હેતુથી સોમવારે 7મી ફેબ્રુઆરીથી જૂની એસઓપી મુજબ ધોરણ 1થી 9નુ ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ કાર્ય વાલીઓની સંમતિ સાથે શરુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 7 જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે પહેલા 31 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આ પ્રતિબંધ વધારીને 5 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યો હતો. બીજી બાજુ રાજ્યમાં ખાનગી શાળા સંચાલકો પણ દબાણ કરી રહ્યા હતા કે કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેથી ધોરણ 1થી 9ના ક્લાસ શરુ કરવાની મંજૂરી આપવામાં આવે. શાળા સંચાલકોની રજૂઆતોને પગલે 31 જાન્યુઆરીના રોજ અગાઉ શિક્ષણ વિભાગની મહત્વની બેઠક મળી હતી જેમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં કોરોના વાયરસના કેસો સતત ઘટવાના પગલે 7 ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે.