ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જામનગરનો વિચિત્ર કિસ્સો, લિવ ઇન રિલેશન, હત્યા, અને લાપતા!
જામનગરમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં 8 વર્ષીય પુત્રી સહિત પોતાના પ્રેમી સાથે રહેતી શિક્ષિકાના ઘરમાં આગ લાગી હતી. તે સમયે આગ બુઝાવવા પહોચેલા ફાયર બ્રિગેડના જવાનોને પ્રેમી જયશે રાઠોડની ગળે ફાંસો ખાધેલી લાશ મળી હતી. અને આ ઘટના બાદ શિક્ષિકાના 8 વર્ષીય પુત્રી પણ લાપતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ શિક્ષિકા રેખાબેન જાડેજા તેમના પ્રેમી જયેશ રાઠોડની જોડેઆઠ મહિનાથી મૈત્રી કરારથી સાથે રહેતા હતા. ત્યારે હાલ આ ધટના પાછળના કારણો જાણવાનો પ્રયાસ પોલિસ કરી રહી છે.

રાજકોટ: "ઢોરને પકડશો તો અમે આંગ ચાંપી દઇશું!"
રાજ્યમાં રખડતા ઢોરથી ઇજા થવાના મોત થવાના બનાવ બની રહ્યા છે ત્યારે રાજકોટમાં થોડા દિવસ પહેલાજ એક વૃદ્ધ આખલાની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. તો અન્ય એક ઘટનામાં પણ એક નાગરિકે જીવ પણ ગુમાવ્યો હતો. આવા રખડતા ઢોરને પકડવા તંત્રએ ઝુંબેશ શરૂ કરતા માલધારીઓએ મુશ્કેલી ઉભી કરી છે. રખડતા ઢોરને પકવા આવેલા તંત્રને રોકવા માટે મહિલાઓએ શરીરે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા મામલો વણસ્યો હતો.

વરેલી લઠ્ઠાકાંડમાં આતંકી પ્રવૃતિની શકયતા?
સુરતના વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 28 થયો છે. ત્યારે આ ઘટનામાં તપાસ એટીએસને સોંપાઈ છે. ગઈ કાલથી એવી ચર્ચા ચાલી રહી છેકે મિથેનોલનો ઉપયોગ આતંકીઓ પણ કરતા હોય છે તો સુરતના વરેલીમાં આટલી મોટી સંખ્યામાં મિથેનોલનું પ્રમાણ કેવી રીતે જોવા મળ્યું. સામાન્ય રીતે આ કેસમાં સ્થાનિક પોલીસ અને વધુમાં વધુ ક્રાઈમબ્રાંચ, સીઆઈડી ક્રાઈમ જેવી એજન્સીઓ તપાસ કરતી હોય છે. પરંતુ આ ઝેરી દારૂકાંડની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ કરતા ઘણ પ્રશ્નો ઉભા થયા છે.

ગણેશ વિસર્જનમાં બે સગા ભાઈ સહિત 5ના મોત
ગત રાત્રે રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે કરૂણ ઘટના બની હતી. રાજકોટના હનુમાનધારાએ ગણેશ વિસર્જન વખતે બે સગા ભાઇ સહિત પાંચ યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. વિશ્વનગર આવાસમાં યોજાયેલા સાર્વજનિક ગણેશોત્સવનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ વચ્ચે ગણપતિના વિસર્જન વખતે પાંચ યુવકો ડૂબી જાત શોક વ્યાપી ગયો હતો. સાત યુવાનો ગણેશ વિસર્જન દરમિયાન ડુબ્યા હતાં જે પૈકી 2નો બચાવ થયો હતો , જ્યારે પાંચના શબ મોડી રાત્રે કાઢવામાં આવતા પરિવારમાં કલ્પાત મચી ગયો હતો.

વરેલી લઠ્ઠાકાંડ- 17ના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મિથેનોલ પોઝિટીવ આવ્યા
વરેલીમાં મોતને ભેટેલા 21 લોકોના મોતમાંથી 17 મૃતકોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મિથેનોલ પોઝિટીવ આવ્યા છે. પોલીસે આ ઘટનામાં 9 સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સુરતના પલસાણાના વરેલી ખાતે દેશી દારૂ પીવાથી થયેલા મોત અને લઠ્ઠાકાંડને લઈને જ થયા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. જ્યારે ચાર લોકોના રિપોર્ટ હજી આવવાના બાકી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથેનોલ આવવાનો રિપોર્ટ જ વરેલી ગામે લઠ્ઠાકાંડ થયો હોવાનો પુરાવો છે.બીજીતરફ આ સમગ્ર મામલે એટીએસ તપાસ ચલાવી રહી છે. જેમાં મિથેનોલ ક્યાંથી આવ્યુ તેની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ ઘટનામાં 9 માંથી 8 બુટલેગરોની ધરપકડ થઈ છે. અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ થયો છે.

ઝીકા વાયરસનું એલર્ટ અમદાવાદ એરપોર્ટ પર!
અમદાવાદ એરપોર્ટ પર ઝીકા વાઇરસનાં એલર્ટને લઇને મેડીકલ ટીમ મુકવામાં આવી. કેન્દ્ર સરકારનાં માર્ગદર્શન હેઠળ ઝીકા વાઇરસને ભારતમાં પ્રવેશતા રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. જે મુજબ 12 કલાક સુધી અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોક્ટરની ટીમ તૈનાત રહેશે. અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસી પર નજર રાખશે.












Click it and Unblock the Notifications
