MLA પદેથી બાપુનું રાજીનામું, કહ્યું, કોઇ પક્ષમાં નહીં જોડાઉં
કપડવંજના ધારાસભ્ય પદેથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું
ગુજરાત રાજ્યસભા ચૂંટણી પછીથી શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યા હતા. ત્યાર બાદ બુધવારે શંકરસિંહે પણ આખરે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. શંકરસિંહ વાઘેલા કપડવંજના ધારાસભ્ય હતા અને આ પદેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચક હાજરી જોવા મળી હતી.

બાપુએ કોંગ્રેસ છોડ્યા બાદથી તેઓ ભાજપમાં જોડાવાના હોવાની વાતોએ જોર પકડ્યું હતું, હવે બાપુના રાજીનામાં બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હતી. જો કે, રાજીનામાં બાદ શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતાં સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ કોઇ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. તેમણે કહ્યું હતું કે, હું ઘણા વખતથી રાજીનામું આપવાનો વિચાર કરતો હતો. કપડવંજના ધારાસભ્ય પદેથી મેં રાજીનામું આપ્યું છે, આ વિસ્તારના લોકોનો આભાર માનું છું. હું રાજકારણમાં તો રહીશ, પરંતુ હવે કોઇ રાજકીય પક્ષમાં નહીં જોડાઉં. હું કોઇની ખેસ કે કંઠી ધારણ કરવાનો નથી.
તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, 'બાપુ અમારા વડીલ છે, તેથી અમે હાજર રહ્યાં. હવે બાપુ કોંગ્રેસના નથી. બાપુના રાજીનામાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે, એ વાત તો ચોક્કસ છે.' હવે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકો કઇ રણનીતિ સાથે સામે આવશે, એ જોવાનું રહે છે.












Click it and Unblock the Notifications
