સોહરાબ કેસના આરોપીઓને 9 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન

આ કેસમાં તેઓ હાજર થયા બાદ કાનૂની પ્રક્રિયા શરૂ થશે. આથી ૧૯ આરોપીઓ પૈકી ૧૧ આરોપીઓ ૯મી પછી ગુજરાત પાછા ફરે તેવી શકયતા ઓછી છે.
સીબીઆઇના વકીલ એઝાઝખાને જણાવ્યું હતું કે "ગઇકાલે કોર્ટ નં.3ના મેજીસ્ટ્રેટે સોહરાબ કેસના તમામ આરોપીઓને સમન્સ પાઠવ્યા છે. સ્થાનિક કોર્ટ કે પછી કેસ સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટને કમીટ કરશે."
નોંધનીય છે કે, 27 સપ્ટેમ્બર, 2012ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી કે, આ કેસની તપાસ ગુજરાતમાં ન્યાયી થઇ ન શકે જે પછી સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઇએ આ કેસમાં કાવતરૂ ઘડવાના મુખ્ય આરોપી તરીકે નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા અમિત શાહનું નામ આપ્યુ છે. 16મી ઓકટોબરના રોજ ગુજરાત હાઇકોર્ટે કેસના તમામ કાગળો મુંબઇ હાઇકોર્ટને મોકલી દીધા હતા.
અમિત શાહ ઉપરાંત ડી જી વણઝારા, એન કે અમીન, અભય ચુડાસમા અને અન્યોને 9મીએ હાજર થવુ પડશે. જો કે કેટલાક સુત્રો કહે છે કે, આ આરોપીઓ કદાચ 9મીએ હાજર થવામાંથી મુકિતની અરજી કરે તેવી શકયતા છે. જો કે તેઓ હાજર ન રહે તો કોર્ટ વોરંટ પણ ઇસ્યુ કરી શકે છે.
આ કેસ આગળ ચાલે એ માટે સોહરાબુદ્દીન કેસના આરોપીઓને કોર્ટ આર્થર રોડ જેલ કે પછી તલોજા જેલમાં મોકલી દેવામાં આવે તેવી શકયતા છે. જેમાં ડી જી વણઝારા, બી કે ચૌબે, એમ એચ ડાભી, એમ એલ પરમાર, એન કે અમીન, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ એન, શ્યામ સિંઘ અને અભય ચુડાસમાને મુંબઇની જેલમાં જવું પડી શકે છે.












Click it and Unblock the Notifications
