અન્ન સુરક્ષા યોજના માટે સોનિયા આવતા મહિને ગુજરાત આવી શકે

આ યોજના લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તરફી ગેમચેન્જર બની રહેશે તેવી કોંગ્રેસીઓને શ્રધ્ધા છે. યોજનાના ફાયદાના વ્યાપક પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશાવ્યાપી પ્રવાસ કરવાના છે. ગુજરાતમાં ટુંક સમયમાં સોનિયા ગાંધીની જંગી રેલી (સભા) યોજવાનું આયોજન હાથ ધરાયુ છે. સભાનું સ્થળ અને તારીખ હવે પછી નક્કી થશે.
સોનિયા ગાંધીના પ્રવાસ પહેલાના આયોજન પેટે રાજયમાં તાલુકા મથકો સુધી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજશે. ગુજરાત પ્રવાસની સાથે સોનિયા સંસદની ચૂંટણીમાં પ્રચારનું રણશિંગુ ફૂંકે એવી શક્યતા છે. સંગઠનના હેતુસર રાહુલ ગાંધી પણ પ્રવાસ કરશે.
કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે દેશના ગરીબોને રૂપિયા 1થી રૂપિયા 4ના કિલો લેખે અનાજ-કઠોળ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવા માટે અન્ન સુરક્ષા ધારા નામે યોજના બનાવી છે. મંત્રી મંડળે આ અંગે બહાર પાડેલા વટહુકમ પર રાષ્ટ્રપતિએ સહી કરી દેતા હવે ગમે તે દિવસથી તેના અમલનો રસ્તો ખુલ્લો થઇ ગયો છે.
કોંગ્રેસ ગરીબો માટેની આ અન્ન યોજનાને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવી લાભ લેવા માંગે છે. ભાજપ સહિતના વિપક્ષો તરફથી વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને આગળ કરવાની ગતિવિધિ ચાલી રહી છે તેની સામે કોંગ્રેસે ગરીબોને અન્ન સહાય આપવાની યોજના અમલમાં મુકી મોદીનો સંભવિત દેશવ્યાપી પ્રભાવ ખાળવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં તેના ધમાકેદાર પ્રારંભ માટે ખુદ સોનિયા ગાંધી આવનાર છે તેવુ કોંગ્રેસના ટોચના વર્તુળો જણાવે છે. સોનિયા અન્ય રાજયોમાં પણ આ યોજના સંદર્ભે રેલી કરશે.
સંસદની ચૂંટણી પુર્વે પાંચ રાજયોમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે તે પુર્વે આ યોજનાનો અમલ શરૂ કરી ગરીબોના મતો મોટા પ્રમાણમાં ખેંચવાની કોંગ્રેસની ગણતરી છે. ભાજપ દ્વારા આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની સામે કોંગ્રેસ આ યોજનાનો ઝડપી અમલ અને ઝંઝાવાતી પ્રચાર કરવા માંગે છે.
ગુજરાતમાં કરોડો લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર બનશે. સોનિયા ગાંધીના પ્રવાસ પુર્વે પ્રદેશ કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા અને તાલુકા મથકોએ આ યોજનાને કેન્દ્ર સરકારની સિદ્ધિ તરીકે દર્શાવી તે બાબતે પ્રજાને જાગૃત કરવા અને યોજનાના મબલખ ફાયદા વર્ણવવા વિવિધ કાર્યક્રમો થનાર છે.












Click it and Unblock the Notifications
