વેપારીઓ માટે આવતા રવિવારે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ, 31 જુલાઈ સુધી વેપારીઓએ વેક્સિન લેવી ફરજીયાત
ગુજરાત સરકારે રાજ્યના વેપારીઓ માટે કોરોના વેક્સિન ફરજીયાત કરી છે, જે વેપારીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને ધંધા રોજગારના સ્થળોએ રહેવાની પરમીશન આપવામાં આવશે નહી.
ગુજરાત સરકારે રાજ્યના વેપારીઓ માટે કોરોના વેક્સિન ફરજીયાત કરી છે, જે વેપારીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને ધંધા રોજગારના સ્થળોએ રહેવાની પરમીશન આપવામાં આવશે નહી. સરકારના આ નિર્ણયને લઈને હવે વેપારીઓને વેક્સિન મળી જાય તે જરૂરી છે. સરકાર વેપારીઓને વેક્સિન આપવા માટે આવતા રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી શરૂ રાખશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે, જેમના માટે 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજીયાત કરાઈ છે તેવા વેપારીઓ માટે 25 જુલાઈ એટલે કે આવતા રવિવારે સરકાર સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ ચલાવાશે. 25 જુલાઈએ ધંધાકીય એકમો સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓને રસી આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વેક્સિનના સ્ટોકને લઈને વચ્ચે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી. એક તરફ વેક્સિનની કમી અને બીજી તરફ વેપારીઓ માટે વેક્સિન ફરજીયાત કરાતા હવે સરકારે વેપારીઓ માટે રવિવારે સ્પેશિયલ ડ્રાઈવ યોજી વેક્સિનેટ કરવાની કામગીરી હાથ ધરી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા ઝડપથી વેક્સિનેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. એક તરફ સરકારના પ્રયાસ તો બીજી તરફ વેક્સિનનો સ્ટોક ખતમ થઈ જતા વેક્સિનેશનની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવે એવા લોકોને વેક્સિન મળે તે આવશ્યક છે કે જે સતત લોકો વચ્ચે રહે છે અને સુપર સ્પ્રેડર બની શકે છે. ત્યારે સરકારે વેપારીઓને વેક્સિન આપવા રવિવારે પણ વેક્સિનેશન કામગીરી જારી રાખવાની જાહેરાત કરી છે.