શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો કરશે અભ્યાસ
ગુજરાતમાં યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાના અભ્યાસ અર્થે શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીમતી વિજીયાની કૂંજન ગુજરાત પધાર્યા છે. ગાંધીનગરમાં મુખ
ગુજરાતમાં યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાના અભ્યાસ અર્થે શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીમતી વિજીયાની કૂંજન ગુજરાત પધાર્યા છે. ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને મહાનુભાવોએ ગુજરાત વિધાનસભાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની સજ્જતા વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.
શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર વીજીયાની કૂંજન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ઇલેક્શન વીઝીટર પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત પધાર્યા છે. આ બંને મહાનુભાવોએ અમદાવાદમાં ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
આજે બપોરે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય અને અશોક માણેક તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ અને અજય ભટ્ટ સાથે આ મહાનુભાવોએ બેઠક કરી હતી. ગુજરાતના અધિકારીઓએ તેમને ગુજરાતના ચૂંટણી તંત્રની મતદાર યાદીની તૈયારીથી લઈને મત ગણતરી સુધીની કામગીરી વિષે અને સમગ્ર વહીવટી તંત્ર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
શ્રીલંકા અને મોરેશિયસના આ બંને અધિકારીઓ ગુજરાતની ચૂંટણી, ચૂંટણી તંત્રની સજ્જતા અને કામગીરીથી અત્યંત પ્રભાવિત થયા હતા. આવતીકાલે બીજા તબક્કાના મતદાનના દિવસે આ બંને અધિકારીઓ મતદાન મથકોની મુલાકાત લેશે અને આખીય પ્રક્રિયાનું અવલોકન કરશે.