ગાંધીનગરમાં એસટી બસોનો પ્રારંભ, ડેપો અને બસોને કરાયા સેનેટાઇઝ
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં આજથી ગાંધીનગર એસ.ટી.ડેપોથી દોડતી થઇ છે. હાલમાં ગાંધીનગર થી માણસા, કલોલ અને દહેગામ માટે કુલ 24 ટ્રીપો કરવામાં આવશે. ગાંધીનગર શહેર સહિત સમગ્ર રાજયમાં લોકડાઉનની અમલવારી થતાં
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં આજથી ગાંધીનગર એસ.ટી.ડેપોથી દોડતી થઇ છે. હાલમાં ગાંધીનગર થી માણસા, કલોલ અને દહેગામ માટે કુલ 24 ટ્રીપો કરવામાં આવશે.
ગાંધીનગર શહેર સહિત સમગ્ર રાજયમાં લોકડાઉનની અમલવારી થતાં રાજ્યમાં પરિવહનની સૌથી મોટી સેવા આપતી ગુજરાત રાજય એસ.ટી. નિગમની બસોના ફરતા ટાયર થંભી ગયા હતા. ઘણા લાંબા સમયથી ખાનગી વાહન અને સરકારી એસ.ટી. બસોનું પરિવહન બંધ થતાં આંતરિક વાહન નેટવર્ક તૂટી ગયું હોય તેવું સૌ કોઇ અનુભવ કરી રહ્યાં હતા. રાજય સરકાર દ્વારા છુટ આપ્યા બાદ આજથી ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા ગાંધીનગર-માણસા, ગાંધીનગર-કલોલ અને ગાંધીનગર-દહેગામની ટ્રીપોનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં માણસા ની છ ટ્રીપ, કલોલની છ ટ્રીપ અને દહેગામની 12 ટ્રીપ મળી કુલ- 24 ટ્રીપ માટે ચાર શિડ્યુઅલ નક્કી કરવામાં આવ્યા છે. આજે કુલ- 40 પેસેન્જરોએ એસ.ટી. નિગમોમાં મુસાફરી કરી હતી.
ગાંધીનગર એસ.ટી. ડેપોના ઇન્ચાર્જ મેનેજર શ્રી રાવલે જણાવ્યું હતું કે, સરકારના દિશા-નિર્દેશો અને એસ.ટી બસ ડેપોના નિયમોનુસાર દરેક મુસાફરોનું થર્મલ ગનથી ટેમ્પરેચર તપાસવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે મુજબ ટિકીટ ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લોકોનો સારો એવો સહયોગ પણ મળી રહ્યો છે. તેમજ તમામ મુસાફરોને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. બસમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બસોનું નિયમિત રીતે સેનિટાઇઝ કરવામાં આવે છે. તેમજ વોશ પણ કરવામાં આવે છે. આજે સમગ્ર એસ.ટી. ડેપોને અને બસોનું પણ સેનિટાઇઝર કરીને સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત એસ.ટી. ડેપોમાં ગમે ત્યાં મુસાફરો થુંકે નહિ તેની કડક સૂચના આપવામાં આવી છે. તેમજ માસ્ક ન પહેરયું હોય અને મુસાફર થુંકતા પકડાય તો રૂપિયા 200/- સુધીનો દંડ વસુલ કરવાના સાઇન બોર્ડ પણ ડેપોમાં મારવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ખતરનાક છે સાયક્લોન આમ્ફાનનું નેત્ર, પશ્ચિમ કોલકાતા તરફ વધી રહ્યું છે