રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકશાનને લઈને કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું!
ગુજરાત સરકારે રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારે રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થયો હતો ત્યારે નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.
રાજ્ય સરકારે અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ૧૩ હજાર રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરી છેે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨ હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ ૬,૮૦૦ રૂપિયા અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે.
જો જમીનધારકતાના આધારે એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ ૫ હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ ૫ હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવાશે. આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે અરજદારોએ ૨૫ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી નિશુલ્ક રહેશે.
રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માંગચા અસરગ્રસ્ત ખેડૂતોએ ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.